લખનઉઃ વર્ષ ૨૦૧૩માં ભારતમાં યોજાઈ ગયેલા મહાકુંભનું આયોજન બ્રાઝિલમાં યોજાયેલા ‘ફિફા’ વર્લ્ડ કપ અને નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન કરતાં પણ ઘણું સારું હતું. આ દાવો ભારત સરકારનો નથી, પણ વિશ્વખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં દાવો કરાયો છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આર્કિટેક્ટ્સ અને ટાઉન પ્લાનરો સાથે ભેગા મળીને વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમુદાય પર પ્રકાશિત કરેલાં પુસ્તકમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું વિમોચન ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના હસ્તે વિમોચન કરાયું હતું.
'કુંભમેલા-મેપિંગ ધી એફેમેરલ મેગાસિટી' નામના ૪૪૯ પાનનાં આ પુસ્તકમાં જણાવાયું છે કે, 'જે દેશ તેની નિષ્ક્રિય નોકરશાહી માટે કુખ્યાત છે ત્યાં કુંભમેળાનાં આયોજનની સફળતા ખરેખર નોંધનીય છે.' પુસ્તકમાં જણાવ્યા અનુસાર, ૨૦૧૪માં બ્રાઝિલમાં યોજાયેલા વર્લ્ડ કપ અને નવી દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાગીદારી તેમ જ પૂરતું ફંડ હોવા છતાં કૌભાંડોને કારણે ખરાબ આયોજનની બુમરાણ મચી હતી.
૫૦ દિવસમાં ૨૪.૫ કરોડ કોલ
પુસ્તકમાં ખુલાસો કરાયો છે કે, કોઈ એક સ્થળે સૌથી વધુ સેલફોનનો ઉપયોગ થયો હોય તો તે કુંભમેળો છે. અહીં મેળાના ૫૦ દિવસ દરમિયાન ૩૯ કરોડ કોમ્યુનિકેશન ઇવેન્ટ્સ (કોલ, મેસેજ વગેરે) થયા હતા. જો કોઈ કુંભમેળામાં મોબાઇલયૂઝર્સની કોલડિટેલ રિપોર્ટનો દરેક કોલ માટે એક સેકન્ડ ફાળવીને અભ્યાસ કરે તો પણ તેને કોઈ એક જ કંપનીના મેસેજ અને કોલને જોઈ જવામાં ૧૨ વર્ષનો સમય લાગે. ૫૦ દિવસમાં ૧૪.૬ કરોડ મેસેજીસ અને ૨૪.૫ કરોડ કોલ કરાયા હતા.