ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ જાહેર કરેલા ફ્રી બેઝિક્સના પ્લાનથી નારાજ ફેસબુકના રોકાણકાર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય માર્ક એન્ડ્રિસને ટ્વિટ કર્યું હતું કે, ભારતનું અર્થતંત્ર બ્રિટિશ શાસનના ઇશારે ચાલતું હતું તે વધારે સારું હતું. ભારતને આવા જ શાસનની આદત થઈ ગઈ છે તો હવે તેનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. માર્કની અયોગ્ય ટિપ્પણીને કારણે ટ્વિટર પર ભારતીયો ભડક્યા હતા જેના પરિણામે માર્કે પાછળથી ટ્વિટ ડિલિટ કરી નાંખી હતી. એ પછી નવી ટ્વિટમાં લખ્યું હતું કે, હવે ક્યારેય ભારતીય અર્થવ્યવસ્થા કે રાજકારણ અંગેની ચર્ચામાં ભાગ પણ નહીં લઉં. ઉલ્લેખનીય છે કે ફ્રી બેઝિક્સ પ્લાન ફગાવતા ફેસબુકે પણ આ પહેલાં નારાજગી વ્યક્ત કરી હતી.