નવી દિલ્હીઃ ઈડીએ તાજેતરમાં ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર માલવિન્દર સિંહ અને રેલિગેર એન્ટરપ્રાઇઝ લિ.ના પૂર્વ સીએમડી સુનિલ ગોધવાણીની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ કરાયા હતા. ૧૧મી ઓક્ટોબરે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ માલવિન્દર અને તેના ભાઈ શિવિન્દરની ધરપકડ કરી હતી.
આ કેસમાં જોડાયેલા એક વકીલે કહ્યું કે ઈડીએ બંને આરોપીઓને તિહાડ જેલમાં જઈને અટકાયતમાં લીધા હતા. સિંહ, ગોધવાણી બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવશે. ઈડી તેમની પૂછપરછ પણ કરે તેવી સંભાવના છે. સિંહ અને ગોધવાણી પર મની લોન્ડરિંગનો આરોપ છે. આ પહેલાં ૭૪૦ કરોડની છેતરપિંડીના કેસમાં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ તેમની ધરપકડ કરી હતી.