નવી દિલ્હીઃ એક બકરીના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થાય તે માન્યામાં ન આવે તેવી બાબત છે. પરંતુ કોલ ઈન્ડિયા કંપનીને આ કારણથી જ જંગી નુકશાન સહન કરવું પડ્યું છે. ઉપલબ્ધ માહિતી મુજબ કોલ ઈન્ડિયાના ભુવનેશ્વર સ્થિત યુનિટ મહાનદી કોલ્ડફિલ્ડ ખાતે કોલસાના ટ્રાન્સપોર્ટેશનની કામગીરી ચાલી રહી હતી તે વેળાએ રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળા એક બકરીનું મોત નીપજ્યું હતું.
બકરીના મોત બાદ આજુબાજુના ગામના લોકોએ આ મુદ્દાને લઈને ભારે વિરોધ પ્રદર્શન કરતા કંપનીની કોલ ટ્રાન્સપોર્ટેશનની કામગીરી સાડા ત્રણ કલાક ખોરવાઈ જવા પામી હતી. આમ, કોલ ટ્રાન્સપોર્ટેશનની કામગીરી ખોરવાઈ જવાના કારણે સરકાર હસ્તની આ કંપનીને રૂ. ૨.૭ કરોડનું નુકશાન થવા પામ્યું હતું. આ મામલે પોલીસ કાર્યવાહી બાદ પ્લાન્ટમાં કામકાજ રૂટીન સ્તરે શરૂ થયા હતા.