મુંબઈઃ યુવા દિલોની ધડકન અને બોલિવૂડના પ્રેમીપંખીડા દીપિકા પદુકોણ અને રણવીર સિંહે લાંબા સમયથી તેમના લગ્ન અંગે ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતાં જાહેરાત કરી છે કે તેઓ ૧૪ અને ૧૫ નવેમ્બરે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે.
દીપિકાએ લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં શેર કર્યું છે તો રણવીર સિંહે તેને ‘લાઈક’ કરીને જાહેરાતને સ્વીકૃતિ આપી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલા આ કાર્ડ દ્વારા જાણવા મળે છે કે ૧૪ અને ૧૫ નવેમ્બરે તેમના લગ્નની વિધિઓ થશે. એક અહેવાલઆ લગ્ન સિંધિ રીતરિવાજથી થશે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સૌનો આભાર માનતા લખ્યું છે કે ‘અમને એ જણાવતાં ખૂબ ખુશી થાય છે કે અમારા પરિવારના આશીર્વાદથી અમારાં લગ્ન ૨૦૧૮ની ૧૪ અને ૧૫ નવેમ્બરે નક્કી કરવામાં આવ્યા છે. આટલાં વર્ષોમાં અમને જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે તેના માટે અમે સૌના આભારી છીએ. શરૂ થનારા અમારા પ્રેમ, મિત્રતા અને વિશ્વાસના આ સુંદર પડાવ માટે આપના આશીર્વાદની કામના કરીએ છીએ. ભરપૂર પ્રેમ દીપિકા અને રણવીર’
એક વાત એવી છે કે આ યુગલ ઇટાલીમાં લગ્ન કરવાનું છે. જેમાં ફક્ત અંગત ૩૦ વ્યક્તિને જ આમંત્રણ આપવાના છે તેમજ આમંત્રિતોને સાથે મોબાઇલ ફોન ન રાખવાની વિનંતી કરવાના છે. ઇટાલીમાં લગ્ન પછી ભારતમાં ગ્રાન્ડ રિસેપ્શન કરવાના છે. તેમનું એક રિસેપ્શન મુંબઇ અને બીજું બેંગલુરુમાં થાય તેવી ચર્ચા છે.


