નવી દિલ્હી, તા. 19ઃ નોઈડાના બહુચર્ચિત નિઠારીકાંડના ગુનેગાર સુરેન્દ્ર કોલીને સીબીઆઈ કોર્ટે એક યુવતીના અપહરણ બાદ રેપ-હત્યાના કેસમાં ફાંસીની સજા ફટકારી છે. સુરેન્દ્ર સામે નિઠારીકાંડના 16 કેસ ચાલતા હતા, એમાંથી આ 14મી વખત ફાંસીની સજા થઈ છે. અગાઉ 13 કેસમાં ફાંસીની સજા થઈ ચૂકી છે અને બે કેસમાં તેને પુરાવાના અભાવે છોડી મૂકાયો હતો.
ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે 2006માં નિઠારની યુવતીના અપહરણ રેપ-મર્ડરના કેસમાં સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા ફટકારી છે. 7મી મે 2006ના રોજ સુરેન્દ્ર માલિક મોનિંદર સિંહે પંધેરે નોકરી આપવાના બહાને યુવતીને ઘરે બોલાવી હતી, એ પછી યુવતી દિવસો સુધી ઘરે પાછી ફરી નહોતી. યુવતીના પિતાએ નોઈડા પોલીસ સ્ટેશનમાં તેની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી તે પછી નિઠારીકાંડનો પર્દાફાશ થયો હતો. મોનિન્દરના ઘરની પાસેના નાળામાંથી શરૂઆતમાં પાંચ હાડરિંપજ મળી આવ્યા હતા જે તપાસના અંતે વધીને 19 થયા હતા. 19 બાળકો મહિલાઓની હત્યા થયાનું જણાયું હતું. એમાંથી 16 કેસ નોંધાયા હતા અને એ તમામ કેસ સીબીઆઈને સોંપાયા હતા. ડિસેમ્બર 2006માં પોલીસે એ યુવતીના કેસમાં મોનિન્દર સિંહ પંધેર અને તેના નોકર સુરેન્દ્રની ધરપકડ કરી હતી. સુરેન્દ્ર યુવતીઓના મર્ડર કર્યા બાદ રેપ કરતો હતો. બાળકો સાથે પણ તેને દુષ્કર્મ કર્યાનું સાબિત થયું હતું. તે બાળકોની હત્યા કરીને તેમના મૃતદેહોના ટુકડા કરી નાળામાં ફેંકી દેતો હતો. સુરેન્દ્ર કોલીએ સીબીઆઈ સમક્ષ યુવતીની હત્યાની કબૂલાત કરી હતી. તે સિવાયના ગુના પણ કબૂલ્યા હતા.
મોનિન્દરના વકીલે એક નિવેદનમાં કહ્યું હતું કે 16મા કેસમાં સુરેન્દ્ર મુખ્ય ગુનેગાર ઠર્યો હતો. તેને ફાંસીની સજા આપવામાં આવી છે. તે ઉપરાંત મોનિન્દર પણ ઈમોરલ ટ્રાફિક એક્ટ અંતર્ગંત દોષી ગણવામાં આવ્યો હતો જેમાં તેને સાત વર્ષની કેદ થઈ છે.