વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની આધારશિલા મૂકી હતી. મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મોદીએ અગાઉની સરકારોને આડે હાથ લેતાં કહ્યું હતું કે, અગાઉ કોઈએ બોલે બાબાની ચિંતા કરી જ ન હતી. ભોલે બાબા વર્ષોથી દીવાલોમાં જકડાયેલા હતા. મહાત્મા ગાંધી પણ ભોલે બાબાની આવી સ્થિતિ માટે ચિંતા કરતા હતા. ૨૦૧૪ની ચૂંટણી વખતે મેં કહ્યું હતું કે, હું અહીં આવ્યો નથી પણ મને બોલાવવામાં આવ્યો છે. કદાચ આવા સારા કાર્યો કરવા માટે જ મને બોલાવવામાં આવ્યો હશે.
મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
આ કોરિડોર કાશી વિશ્વનાથ મંદિર, મણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટ વચ્ચે ૨૫,૦૦૦ ચોરસમીટરમાં બનાવવામાં આવશે. તેમાં ફૂડ સ્ટ્રીટ ઉપરાંત રિવરફ્રન્ટ તેમજ કાશીના રસ્તાઓને પહોળા કરવાનું કામ કરાશે. પ્રોજેક્ટ પૂરો થયા પછી ગંગાસ્નાન કરીને ૫૦ ફૂટ રસ્તા માર્ગે ચાલીને આવતા કાશી વિશ્વનાથના દર્શન કરી શકાશે. સ્વચ્છ રસ્તા અને પીવાનું પાણી લોકોને મળશે. પ્રાચીન મંદિરોની જાળવણી કરાશે. કોરિડોરમાં આવેલા મંદિરો અને માતોની સજાવટ કરાશે. જેમાં ડિજિટલ લાઇબ્રેરી બાંધવામાં આવશે, જેમાં રૂ. ૨૪ કરોડનો ખર્ચ કરાશે.