મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં ૫૦-૫૦ ધોરણે સત્તાની વહેંચણી મુદ્દે ભાજપ પ્રમુખ અમિત શાહે વડા પ્રધાન મોદીને અંધારામાં રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. રાઉતે કહ્યું કે, બાલાસાહેબના સોગંદ, તેમના રૂમમાં ૫૦-૫૦ સત્તાની વહેંચણીની ચર્ચા થઈ હતી. શિવસેનાનાં વડા ઉદ્ધવ ઠાકરે સાથે સત્તાની વહેંચણી મુદ્દે સમજૂતી થઈ ત્યારે શાહે તેમને અઢી અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ વહેંચવા ઓફર કરી હોવાનો રાઉતે દાવો કર્યો હતો. ૧૩મી નવેમ્બરે અમિત શાહે શિવસેના પર આક્ષેપો કર્યા હતા કે, મોદી ચૂંટણી પ્રચાર વખતે જ્યારે વારંવાર દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન બનશે તેવી જાહેરાત કરતા હતા ત્યારે શિવસેનાએ કેમ વાંધો ઉઠાવ્યો ન હતો? શાહની આ ટિપ્પણી અંગે રાઉતે ૧૪મી નવેમ્બરે પલટવાર કર્યો હતો. તેમણે વળતો સવાલ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જ્યારે પ્રચાર કરતા હતા કે મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ હશે ત્યારે ભાજપે કેમ વાંધો ઉઠાવ્યો ન હતો? એ પછી ભાજપે જણાવ્યું હતું કે, શિવસેનાની નવી શરતો અને નવી માગણીઓ અમને સ્વીકાર્ય નથી.