નક્સલીઓ સાથેના એન્કાઉન્ટરમાં ૨૪ જવાનો શહીદ થવાની હૃદયદ્રાવક ઘટના બાદ ઉપરી અધિકારીઓના પ્લાનિંગ, આયોજનો અને નેટવર્ક સામે દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. જાણકારોના મતે નક્સલીઓને પકડવા અને ફસાવવા માટે ત્રણ મોટા અધિકારીઓ ૨૦ દિવસથી આ વિસ્તારમાં બેઝ કેમ્પમાં પ્લાનિંગ કરી રહ્યા હતા અને નક્સલીઓએ ગણતરીના કલાકોમાં જ તેમની તમામ રણનીતિઓ ઉપર પાણી ફેરવી દીધું. જેનું પરિણામ ૨૪ જવાનોની શહીદીથી દેશની ચૂકવવું પડયું છે. ૭૦૦ જવાનો ઉપર નક્સલીઓ ત્રણ કલાક સુધી ગોળીઓ વરસાવતા રહ્યા અને જવાનો શહીદ થયા, ઈજાગ્રસ્ત થયા છતાં તેમને બચાવવા કોઈ નહોતું. તેમને રેસ્ક્યૂ કરનારી ટીમ પણ ૨૪ કલાકે પહોંચી હતી. આ ટીમ ઉપર પણ હુમલો કરીને નક્સલીઓ નાસી છૂટયાં છતાં કોઈ કંઈ જ કરી શક્યું નહીં. બિજાપુરમાં થયેલા હુમલામાં આ પાંચ કારણો સામે આવી છે.
અધિકારીઓનું વારંવાર સ્થળાંતર
જાણકારોના મતે સીઆરપીએફના એડીડીપી ઓપરેશન્સ ઝુલ્ફિકાર હંસમુખ, કેન્દ્રના વરિષ્ઠ સુરક્ષા સલાહકાર અને સીઆરપીએપના પૂર્વ ડીજીપી વિજયકુમાર તથા વર્તમાન આઈજી ઓપરેશન્સ છેલ્લા ૨૦ દિવસથી જગદલપુર, રાયપુર અને બીજાપુર રેન્જમાં હાજર છે. આ ત્રણ મોટા અધિકારીઓ સતત આવનજાવન કરે છે. નક્સલી ઓપરેશન્સ સાથે જોડાયેલા જાણકારોના મતે આવા ટોચના અધિકારીઓ ૨૦ દિવસથી આ વિસ્તારમાં હોય તો સ્વાભાવિક રીતે જ નક્સલીઓને તેમના સૂત્રોથી જાણ થઈ જ જતી હોય છે. તેના કારણે જ આ અધિકારીઓનું તમામ પ્લાનિંગ નિષ્ફળ ગયું.
રણનીતિમાં કોઈ ફેરફાર નહીં
છત્તીસગઢમાં મોટાભાગના વિસ્તાર એવા છે જ્યાં નક્સલીઓ દ્વારા ગેરિલા પદ્ધતિથી હુમલા કરવામાં આવે છે. આ હુમલા ખાળવા માટે જવાનાને રણનીતિ અપાઇ છે પણ દર વખતે એક જ રણનીતિ કામ કરતી નથી. અહીંયા તો ઘણા વર્ષોથી એક જ રણનીતિ ચાલતી હતી જે ઘાતક સાબિત થઈ. આ વખતે પણ નક્સલીઓ પામી જ ગયા હતા કે, જવાનો દ્વારા જૂની રણનીતિને આધારે જ વળતો હુમલો કરાશે. મોટાભાગે ઓનફિલ્ડ પણ રણનીતિ બદલવામાં આવતી હોય છે છતાં આ વખતે તેમાં ફરેફાર કરાયો નહીં હોવાની ચર્ચા છે. તેના કારણે જ જવાનોનો જીવ જોખમમા મૂકાયો.
ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ
મોટાભાગે દુર્ગમ વિસ્તારોમાં સુરક્ષા જવાનો દ્વારા સર્ચ ઓપરેશન પહેલાં યુએવી અને ડ્રોન દ્વારા હવાઈ નિરિક્ષણ કરવામાં આવે છે. તેના દ્વારા મળતા ફોટો અને વીડિયોની મદદથી સ્ટ્રેટેજી નક્કી કરીને નક્સલીઓ ઉપર હુમલો કરાય છે. જાણકારોના મતે દર વખતે માત્ર ડ્રોનની મદદથી કે હીટ સેન્સરની મદદથી મુવમેન્ટ કેપ્ચર કરીને આગળ વધવું જોખમી છે. મોટી સંખ્યામાં નક્સલીઓ મુવમેન્ટ કરતા હોય તો જોઈ શકાય છે પણ અંધારામાં અને છૂટા છવાયા સંતાયેલા નક્સલીઓનો ડ્રોન કે યુએવી દ્વારા ટ્રેસ કરી શકાતા નથી. તેના પગલે સાચા ઈનપૂટ મળતા નથી.
હ્યુમન નેટવર્કનો મોટો અભાવ
સામાન્ય રીતે સ્થાનિક લોકો દ્વારા નક્સલીઓને સાથ આપવામાં આવતો જ હોય છે. મોટા ભાગના કિસ્સામાં નક્સલીઓના જૂથના જ માણસો દ્વારા સુરક્ષા જવાનોને માહિતી આપવામાં આવતી હોય છે. છેલ્લાં કેટલાક સમયથી એવું બની રહ્યું છે કે, જવાનો દ્વારા નક્સલીઓને પકડવામાં આવે છે કે શરણે આવી જવા કહેવામાં આવે છે. પકડાયેલા નક્સલીઓ કે શરણે આવેલા નક્સલીઓને કંઈ મળતું નથી અને અધિકારીઓ પોતે વાહવાહી લૂંટી લે છે. આ નક્સલીઓ દ્વારા ધીમે ધીમે માહિતી આપવાનું ઓછું કરી દેવાયું છે. સ્થાનિક લોકો દ્વારા પણ જવાનોને મદદ કરાતી નથી. હ્યૂમન નેટવર્કનો મોટો અભાવ આ વિસ્તારમાં વધારે ઘાતક બની શકે છે.
ટ્રેનિંગ અને કેન્દ્રીયકરણનો અભાવ
સામાન્ય રીતે વિવિધ ફોર્સિસ વિવિધ રીતે આ વિસ્તારોમાં કામ કરતી હોય છે. દરેકની તાલિમ અને કામની પદ્ધતિ અલગ અલગ હોય છે. જ્યારે આવો અચાનક હુમલો થાય છે ત્યારે આ ફોર્સિસ કાઉન્ટર એટેક પોતાની રીતે કરે છે. આ દરમિયાન વિવિધ જવાનો વચ્ચે તાલમેલ સધાતો નથી. નક્સલીઓ કાયમ એક જ પ્રકારે હુમલા કરે છે છતાં તેમના હુમલામાં કેન્દ્રીકરણ હોય છે. તેઓ હુમલાની એક જ પદ્ધતિને માન્ય રાખે છે અને તે રીતે જ વર્તે છે. જવાનો માટે આ પ્રકારે નક્કર તાલિમ અને યુનિફોર્મિટી ઊભી નહીં કરવી તે પણ જીવલેણ સાબિત થાય છે.