નવી દિલ્હીઃ યુકો બેંકે બિરલા સૂર્યા લિમિટેડના નિર્દેશક યશોવર્ધન બિરલા વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની કંપની ૬૭.૬૫ કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ જતા તેમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. યશોવર્ધન બિરલા યશ બિરલા સમૂહના ચેરમેન પણ છે. યુકો બેંક દ્વારા જારી જાહેર સૂચનામાં યશોવર્ધન બિરલાનો ફોટો પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. બેંકે જણાવ્યું છે કે કંપનીના ખાતાને ૩ જૂન, ૨૦૧૯ના રોજ એનપીએ જાહેર કરવામાં આવ્યો છે. નોટિસમાં બેંકે જણાવ્યું છે કે બિરલા સૂર્યા લિમિટેડને મુંબઇના નરીમાન પોઇન્ટ સ્થિત મફતલાલ સેન્ટરમાં આવેલ અમારી પ્રમુખ કોર્પોરેટ શાખામાંથી મલ્ટી ક્રિસ્ટેલાઇન સોલર ફોટોવોલ્ટેક સેલ બનાવવા માટે ફક્ત ફંડ આધારિત સુવિધાઓની સાથે ૧૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી.
એનપીએમાં વર્તમાન ૬૭.૬૫ કરોડ રૂપિયાની બાકી લોન અને નહીં ચૂકવેલ વ્યાજ સામેલ છે. બેંકે જણાવ્યું છે કે કોલકાતા સ્થિત બેંક દ્વારા લોન લેનારને અનેક વખત નોટિસ મોકલવામાં આવી હોવા છતાં તેના દ્વારા બાકી રકમ ચૂકવવામાં આવી નથી.