ભોપાલઃ ભોપાલ જિલ્લા કોર્ટે આઠ વર્ષ જૂના રેગિંગ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં છઠ્ઠીએ ચાર યુવતીઓને પાંચ- પાંચ વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટે તેમને બે-બે હજારનો દંડ પણ કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં ભોપાલની એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં રેગિંગથી કંટાળીને અનિતા શર્મા નામની યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટે નિર્ણય લીધા પછી ચારેય દોષિત યુવતીને જેલમાં મોકલી દીધી હતી. પુરાવાનો અભાવ હોવાથી કોલેજના શિક્ષક મનીષને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો હતો.
સ્યૂસાઇડ નોટમાં ચાર યુવતીના નામ
કમલા નગર પોલીસને યુવતીના ઘરમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, હું અનિતા શર્મા બી-ફાર્મા દ્વિતીય વર્ષની વિદ્યાર્થિની છું. હું કોલેજ આવી ત્યારથી મારી સાથે રેગિંગ થઈ રહ્યું છે. આ ચારેય કન્યા (નિધિ, દીપ્તિ,કીર્તિ અને દેવાંશી) બહુ જ ગંદી છે. એક વર્ષ સુધી તેમને કઈ રીતે સહી તે હું જ જાણું છું.

