બીજાના સુખમાં આપણું સુખ સમાયેલું છે - ચાણસદમાં ૨૦૨૦ની છેલ્લી આરતીનો લ્હાવો લીધો

- નીતિનભાઈ પલાણ અને કમુબેન પલાણ Tuesday 05th January 2021 14:38 EST
 
 

ચાણસદ ગામમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળે ૨૦૨૦ની છેલ્લી આરતી ઉતારવાનું આમંત્રણ મળતાં મારા મિત્રોના નાના ગ્રૂપમાં વર્ષના અંતમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. ચાણસદમાં સાધુઓ સાથેની વાતચીત દરમિયાન અમે વિચાર્યું કે આપણા નિકટના મિત્રો આ વર્ષ બાપાના જન્મસ્થળે પૂરું કરે તે સારો વિચાર છે. આ માટે ૭૦ આમંત્રણ મોકલ્યા અને માત્ર અડધા કલાકમાં ૧૨૦ લોકોએ તે સ્વીકાર્યા હતા.

સાચું કહું તો અમને સહેજ પણ આશ્ચર્ય થયું ન હતું. બાપા ઘણા લોકોના જીવનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને રીતે ખૂબ આનંદ લાવ્યા છે. તેમનું નામ માત્ર યાદ કરવાથી આનંદ આવે છે.

ચાણસદમાં બાપાના વાસ્તવિક જન્મસ્થળે આરતી યોજાઈ હતી. નારાયણચરણ સ્વામી અને હરિપ્રકાશ સ્વામીએ આરતી ઉતારી હતી. અમે અમારી જાતને નસીબદાર માનીએ છીએ. તેઓ બન્ને ઘણાં વર્ષો સુધી બાપાના અંગત સેવક રહ્યા છે.

ટૂંકા પ્રવચન પછી તેમણે ૭ ડિસેમ્બર, ૧૯૨૧ને બુધવારે સવારે ૮.૨૦ વાગે બાપા (શાંતિલાલ)નો જે સ્થળે જન્મ થયો હતો તે બતાવ્યું હતું. તેઓ જે બારીમાંથી ગામનું તળાવ જોતા હતા તે અને જે હનુમાન મંદિરે જતાં હતા તે અમને બતાવ્યા. તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તે અને બાપા જે અન્ય મંદિરોમાં જતા હતા તે પણ અમને બતાવ્યા. સૌથી મહત્ત્વનું તો સાધુઓના સમૂહમાં જોડાવા માટે બોચાસણ પધારવા તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજનો પત્ર જ્યારે તેમને મળ્યો ત્યારે તેઓ જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં મિત્રો સાથે રમતા હતા તે મેદાન પણ અમે જોયું. તે વખતે બાપા (શાંતિલાલ) આગળ કશું વિચાર્યા વિના પોતાના માતા-પિતાના આશીર્વાદ લઈને બોચાસણ જવા રવાના થયા હતા.

આપણે વર્ષ ૨૦૨૧માં બાપાની જન્મશતાબ્દિ ના વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે તે સાંજ ખરેખર અમારા માટે ખૂબ પવિત્ર હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter