લખનઉઃ પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં બુલંદશહરમાં હિંસા પર ઊતરી આવેલી ભીડનો શિકાર બનેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહના પરિવારમાંથી કોઈપણ એકને સરકારી નોકરી આપવાની તેમજ રૂ. ૫૦ લાખનું વળતર આપીને તેમની હોમલોન ભરપાઈ કરવાની ઉત્તર પ્રદેશ સરકારે ખાતરી આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પાંચમીએ મૃતકના પરિવારને મળ્યા હતા અને સરકાર દ્વારા તમામ મદદની ખાતરી આપી હતી. મુખ્ય પ્રધાન આવાસ પર થયેલી મુલાકાતમાં યોગીએ કહ્યું હતું કે આ કેસમાં તમામ દોષિતોને સજા કરાશે. મૃતકની બાકી હોમલોનના રૂ. ૩૦ લાખ તેમજ સંતાનોનો અભ્યાસનો ખર્ચ સરકાર ભોગવશે. બાળકોને સિવિલ સર્વિસના કોચિંગમાં મદદ કરાશે. રૂ. ૫૦ લાખનું વળતર અપાશે. આદિત્યનાથ દ્વારા પરિવારને અસાધારણ પેન્શન, પરિવારની એક વ્યક્તિને નોકરી તેમજ શહીદ સુબોધકુમારનાં નામે જૈથરા કુલાવરી રસ્તાનું નામ રાખવામાં આવશે.