નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ભગવાન રામ વિશે મેસેજ ચર્ચાઇ રહ્યા છે. ફેસબુક પર શેર થઇ રહેલી પોસ્ટમાં દર્શાવાયું છે કે દશેરાથી ૨૧ દિવસ પછી દિવાળી એટલા માટે ઊજવાય છે કારણ કે રાવણનો વધ કર્યા પછી ભગવાન રામ પગપાળા અયોધ્યા પહોંચ્યા હતા. શ્રીલંકાથી અયોધ્યા પહોંચવા માટે ભગવાન રામને ૨૧ દિવસ લાગ્યા હતા. પોસ્ટમાં ગૂગલ મેપનો ફોટો પણ શેર થાય છે. એવો દાવો થઈ રહ્યો છે કે શ્રીલંકાથી અયોધ્યા વચ્ચેનું અંતર ૨૫૮૬ કિલોમીટર છે. અંતર જો પગપાળા પાર કરવામાં આવે તો તેમાં પણ ૨૧ દિવસ એટલે કે ૫૧૪ કલાક લાગે છે, પરંતુ તેના માટે દરરોજ ૧૨૩ કિલોમીટર ચાલવું પડશે. એટલે કે દર કલાકે પાંચ કિલોમીટર ચાલવું પડશે તે પણ રોકાયા વગર. મેસેજ ફેસબુક સિવાય વોટ્સએપ પર પણ ખૂબ શેર થઇ રહ્યો છે. ટિ્વટર પર રામ અયોધ્યા રોડ ટ્રિપના હેશટેગથી વીડિયો શેર થાય છે. હેશટેગ પર કેટલાય લોકોએ ટિ્વટ કર્યુ છે. કેટલાક લોકો પોસ્ટના સમર્થનમાં છે તો બીજી તરફ કેટલાક લોકો એવો સવાલ કરી રહ્યા છે કે રામ પગપાળા નહીં પરંતુ પુષ્પક વિમાન દ્વારા લંકાથી અયોધ્યા ગયા હતા.
ગૂગલ પર રામનો રૂટ
ગૂગલ પર રૂટ શ્રીલંકાના ડમબુલ્લાના ચાંદનાથી શરૂ થાય છે. અહીંયાથી કિંબિસા, ગલકુલામા, મિહંટાલે, મેડવાછિયાથી તલાઇમન્નાર સુધી પહોંચે છે. પછી ત્યાંથી સમુદ્ર માર્ગે રામેશ્વરમ પહોંચે છે.
ભારતમાં રામેશ્વરમથી કુંભકોણમ, કાંચીપુરમ, તિરુપતિ, નેલ્લોર, ઓંગલે, સૂર્યાપેટ પહોંચાય છે. જ્યાંથી મહારાષ્ટ્રના ચન્દ્રપુર, નાગપુર થતા મ.પ્રદેશના સિવની, જબલપુર, કટની, રીવા, પછી યુપીના અલ્લાહાબાદ, સારોન, પ્રતાપગઢ, સુલતાનપુર, રેહટથી અયોધ્યા.