ભોપાલઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ૯ ઓગસ્ટે રામ જન્મભૂમિના પક્ષના વકીલને પૂછ્યું હતું કે શું ખરેખર ભગવાન રામના વંશજ છે? ત્યારબાદથી, દેશભરના લોકોએ પોતાને રામના વંશજ હોવાનો દાવો કરીને, વિવિધ માધ્યમો દ્વારા તેમની વાતો જાહેર કરવી શરૂ કરી દીધી છે. રઘુવંશી સમાજના લગભગ ૨ હજાર લોકો અયોધ્યા જવા રવાના થયા હતા. મધ્ય પ્રદેશના જુદા જુદા જિલ્લાના રઘુવંશી સમુદાયના લોકો શિવપુરીમાં એકઠા થઈને ૧૦૦થી વધુ વાહનોમાં અયોધ્યા જવાનું એલાન કર્યું હતું. શિવપુરીથી લગભગ ૧૦૦ વાહનોના કાફલાએ ૧૫ જિલ્લાના રઘુવંશી સમુદાયના લોકોને એકઠા કર્યાં હતા. અખંડ રઘુવંશી સમાજ કલ્યાણના રાષ્ટ્રીય અધ્યક્ષ હરીશંકર સિંહ રઘુવંશીએ જણાવ્યું હતું કે, ભગવાન રામના વંશ વિશે સુપ્રીમ કોર્ટમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તર આપવાના હેતુથી અયોધ્યા જઈ રહ્યાં છીએ. તેમનું કહેવું છે કે તેઓ ભગવાન રામના વંશજ છે અને દેશભરમાં રહે છે.