ભાજપ અધ્યક્ષપદની રેસમાં જે. પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવ

Friday 07th June 2019 05:57 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પણ મોદીની કેબિનેટમાં એન્ટ્રી થતાં તેમના સ્થાને નવા અધ્યક્ષ કોણ હશે એને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પ્રધાન બનવાની સાથે જ અમિત શાહે ભાજપના અધ્યક્ષ તરીકેનું પદ છોડવું પડશે. અમિત શાહના સ્થાને ભાજપના અધ્યક્ષપદ માટે જે. પી. નડ્ડાનું નામ ચર્ચામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવ પણ ભાજપના અધ્યક્ષ પદ માટે દાવેદાર મનાય છે.
જે.પી. નડ્ડા કોણ છે? જે. પી. નડ્ડા અમિત શાહના વિશ્વાસુ છે. મોદી સરકારમાં સ્વાસ્થ્ય પ્રધાન રહી ચૂક્યા છે. નડ્ડા ૧૯૯૩માં યોજાયેલી હિમાચલ પ્રદેશની ચૂંટણીની રાજનીતિમાં આવ્યા હતા. તેઓ ૧૯૯૮થી ૨૦૦૩ સુધી હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય પ્રધાન રહી ચૂક્યા છે. જ્યારે ૨૦૦૮થી ૨૦૧૦ સુધી વન પર્યાવરણ પ્રધાન રહ્યા હતા. એપ્રિલ ૨૦૧૨માં એ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૧૯૭૮માં એબીવીપીના નેતા તરીકે રાજકીય કારકિર્દી આરંભી હતી. લોકસભા ચૂંટણી ૨૦૧૯ની રણનીતિ ઘડવામાં જે. પી. નડ્ડાની ભૂમિકા મુખ્ય રહી હતી.
ભાજપના અધ્યક્ષ પદના અન્ય દાવેદાર ભૂપેન્દ્ર યાદવે પણ પાર્ટીમાં કેટલીય મહત્ત્વની જવાબદારી નિભાવી છે. વર્તમાનમાં એ રાજ્યસભાના સાંસદ હોવાની સાથે સંગઠનમાં રાષ્ટ્રીય મહામંત્રી છે. આ સિવાય બિહારના પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. ભૂપેન્દ્ર યાદવ ૨૦૧૩ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના મુખ્ય વ્યુહરચનાકાર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter