નવી દિલ્હીઃ રાજસ્થાનમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવાનું ભાજપ માટે જોઈએ તેટલું આસાન નથી. કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં તેને સરળતાથી સત્તા મળી ગઈ પણ અહીં સત્તાનાં સમીકરણો ભાજપ માટે રસ્તો કાંટાળો હોવાનો નિર્દેશ કરે છે. સંખ્યાનાં ખેલમાં રાજસ્થાનની સ્થિતિ અલગ છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સંખ્યાનો તફાવત ઘણો ઓછો હતો. જ્યારે રાજસ્થાનમાં તે ૨૯ કે ૩૦ બેઠકો જેટલો વધુ છે. અશોક ગેહલોતે સરકાર બનાવવા માયાવતીની બસપાના ધારાસભ્યોને તોડયા હતા.
આમ ગેહલોતને કોંગ્રેસનાં ૧૦૭, અપક્ષ ૧૩, ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં ૨, રાષ્ટ્રીય લોકદળનાં ૧ મળીને કુલ ૧૨૩ ધારાસભ્યોનો ટેકો છે. મુશ્કેલીના સમયે તેમને સીપીએમના ૨ સભ્યોનો ટેકો મળે તેમ છે. આમ તેમનું સંખ્યાબળ ૧૨૫ થયું છે.
સચિન પાયલટ પાસે પૂરતા સભ્યો નથી
સચિન પાયલટ ૩૦ ધારાસભ્યો તેમની સાથે હોવાનો દાવો તો કરે છે પણ કોંગ્રેસની સોમવારની બેઠકમાં ૧૦૭ ધારાસભ્યો હાજર હતા. ૩૦માંથી કેટલા પાયલટ સાથે રહેશે અને કેટલા પાછા ગેહલોત છાવણીમાં જશે તે નક્કી નથી.
જો રાજ્યપાલ ફ્લોર ટેસ્ટનો આદેશ આપે તો સ્થિતિ બદલાઈ શકે છે. સચિન પાયલટ વધુ મજબૂત બની શકે છે. ભાજપ પાસે કુલ ૭૨ ધારાસભ્યો છે. બીજા કેટલા તેને ટેકો આપશે તે નક્કી નથી. આથી ભાજપ સરકાર રચવા માટે જરૂરી ૧૦૧નું સંખ્યાબળ ન થાય ત્યાં સુધી કોઈ જોખમ લેવા માગતું નથી.
અશોક ગેહલોત રાજકારણના ખંધા ખેલાડી
અશોક ગેહલોત નંબર ગેમમાં નબળા નથી. તેઓ રાજકારણના ખંધા ખેલાડી છે, તેમની સરખામણીએ સચિન પાયલટ ઓછા અનુભવી અને વધુ સરળ મનાય છે. અશોક ગેહલોતે તેમના રાજકીય વ્યૂહ થકી જ રાજ્યસભાની ચૂંટણીમાં કોગ્રેસના બે ઉમેદવારોને ૧૨૩ મત અપાવ્યા હતા. જ્યારે ભાજપના બે સભ્યોને ૭૪ મત જ મળ્યા હતા. આમ તે વખતે પણ ગેહલોતે પાયલટ કરતા તેમનું પલ્લું ભારે છે તેવું મોવડીમંડળ સામે પૂરવાર કર્યું હતું.