ગાંધીનગરઃ ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે ૧૬મી ફેબ્રુઆરીએ ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં છે. પોરબંદરના મારુતિ કુરિયરના માલિક રામભાઈ મોકરિયા તથા ડીસાના ભાજપના આગેવાન - બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી છે.
પહેલી માર્ચે યોજાનારી બે બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુઆરી છે. પહેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી આ બંને બેઠકો માટે મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.
રાજ્યસભામાં ગુજરાતની કુલ ૧૧ બેઠક છે જેમાં સૌથી વધુ ૭ બેઠક ભાજપની અને બાકીની કોંગ્રેસની છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, રમીલા બારા, ડો. એસ. જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. સ્વ. અભય ભારદ્વાજ સાંસદ હતા. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબહેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા.


