1. રાજીવ ગાંધીનો 401 બેઠકોનો રેકોર્ડ તોડવા માગે છે મોદી
ભાજપ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી ચૂકી છે. સતત બે વાર બહુમતીથી સરકાર રચવાનો રેકોર્ડ બનાવ્યો છે. એક સાથે 13 રાજ્યોમાં સરકાર બનાવાનો ઇન્દિરાકાળનો રેકોર્ડ તૂટી ચૂક્યો છે. હવે મોદી રાજીવ ગાંધીનો 401 બેઠકો જીતવાનો રેકોર્ડ તોડવા માગે છે. આ સરળ હશે ખરું? રાજીવ ગાંધીએ 1984માં ઇન્દિરા ગાંધી સહાનુભૂતિની લહેરમાં 401 બેઠકો જીતી હતી. તે સમયે ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી.
2. શું પંડિત નેહરુના રેકોર્ડની બરાબરી કરશે નરેન્દ્ર મોદી?
જવાહરલાલ નેહરુ સતત ત્રણ ચૂંટણી 1952, 1957 અને 1962માં પૂર્ણ બહુમતી સાથે પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારબાદ આ રેકોર્ડ મોદીના નામે છે. મોદી 2014 અને 2019માં પુર્ણ બહુમત ધરાવતી સરકારના પ્રધાનમંત્રી છે. 2024માં મોદી જીતશે તો પંડિત નેહરુના આ રેકોર્ડની બરાબરી કરી લેશે.
3. ત્રીજી વાર વડાપ્રધાન બનીને 12 નેતાથી આગળ નીકળશે?
અત્યાર સુધીમાં દેશમાં 15 વડાપ્રધાન થયા. તેમાંથી પાંચ (નેહરુ, વાજપેયી, ગુલઝારી લાલ નંદા, ઇન્દિરા ગાંધી, મનમોહનસિંહ) જ બે કે તેથી વધુ વખત વડાપ્રધાન બન્યા છે. નેહરુ અને અટલ બિહારી વાજપેયી ત્રણ-ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા. શું મોદી પણ આવી સિદ્ધિ મેળવશે?
4. સતત 24 વર્ષ સત્તાના શિખરે રહેવાનો વિક્રમ બનશે?
મોદી છેલ્લા 23 વર્ષથી સતત સત્તાના શિખરે બિરાજમાન છે. 2001થી 2014 સુધી મુખ્યમંત્રી અને 2014 બાદ વડાપ્રધાન તરીકે છે. જો તેઓ 2024ની ચૂંટણી જીતશે તો 24 વર્ષથી સત્તા પર રહેનાર પવન ચામલિંગનો રેકોર્ડ તોડશે.
...અને હાર્યા તો પણ બનશે ઇતિહાસ
નરેન્દ્ર મોદીની માત્ર જીત જ નહીં, હાર પણ ઇતિહાસ રચશે. જો નરેન્દ્ર મોદી 2024માં હારશે તો 23 વર્ષમાં પહેલી વખત એવું થશે કે તેમના નેતૃત્વમાં પક્ષ ચૂંટણી હારશે. 2001માં મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપ મોદીના નેતૃત્વમાં કદી હાર્યો નથી. ગુજરાતમાં સતત ત્રણ ચુંટણી જીતાડી અને પછી કેન્દ્રમાં 2014 અને 2019ની ચૂંટણીઓ જીતાડી છે. હવે સહુની નજર 2024ના પરિણામ પર છે.