ભારત બંધથી જનજીવન ખોરવાયું: અનેક રાજ્યોમાં હિંસા

Wednesday 12th September 2018 10:54 EDT
 

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કમરતોડ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા ભારત બંધને કારણે અનેક રાજ્યોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. કોંગ્રેસ સાથે ૨૧ જેટલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો પણ જોડાયા હતા. જોકે મહાગઠબંધનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા સપા-બસપાએ અંતર જાળવ્યું હતું. કેટલાક રાજ્યોમાં રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા રસ્તાઓ રોકીને વાહનોમાં તોડફોડ કરાઈ હતી અને ટાયરો સળગાવીને હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. બંધને કેટલાંક રાજ્યોમાં મિશ્ર પ્રતિભાવ પણ મળ્યો હતો.
સવારથી જ સ્કૂલો-કોલેજો બંધ રહ્યાં હતાં. બજારો અને વેપારધંધા બંધ રહ્યા હતા. ક્યાંક વાહનોને રોકીને ચક્કાજામ કરવામાં આવતાં વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. કાર્યકરોએ ભાજપ સરકારની નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. કેટલાંક રાજ્યોમાં ટ્રેનો રોકવામાં આવી હતી. બસોને રોકીને આગ લગાડવાની ઘટનાઓ બની હતી. કેટલાંક રાજ્યોમાં બંધની આડમાં તોફાની તત્ત્વોએ લોકોને બાનમાં લીધાં હતાં. પોલીસે એક હજારથી વધારે વિરોધ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. બંધને કારણે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, ઓડિશા, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં રસ્તા રોકો આંદોલન કરીને વાહનોની તોડફોડ કરાઈ હતી અને ક્યાંક વાહનોને સળગાવવામાં આવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter