ભારત (સંક્ષિપ્ત સમાચાર)

Thursday 23rd July 2020 07:33 EDT
 

• આસામમાં વિનાશક પૂરઃ આસામમાં બ્રહ્મપુત્રા અને તેની પેટા શાખાઓમાં આવેલા ઘોડાપૂરને કારણે ૨૬૦૦થી વધુ ગામ અને ૭૦ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યાં છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે મૃત્યુઆંક ૮૪ પર પહોંચ્યો હતો. પૂરમાં જમીન ધસી પડવાથી ૨૬નાં મોત પણ થયાં હતા. આમ કુલ મૃત્યુઆંક વધીને ૧૧૦ થયો હતો.
• દુબે જેવા ગેંગસ્ટરને જામીન કેવી રીતે મળ્યા?: ઉત્તર પ્રદેશના રીઢા ગુનેગાર વિકાસ દુબે સામે અનેક કેસ છતાં તેને જામીન કેવી રીતે મળ્યા અને પેરોલ તે કેવી રીતે છૂટ્યો જેવા સવાલ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસને પૂછ્યા હતા.
• આંદામાનમાં યુદ્ધાભ્યાસઃ લદ્દાખમાં ભારત-ચીન સરહદીય વિવાદ વચ્ચે ભારતીય અને યુએસ નેવીએ સોમવારે આંદામાન અને નિકોબારમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો. અમેરિકાના નિમિત્ઝ સહિત યુદ્ધજહાજો સાથે યુએસએસ રોનાલ્ડ રેગને પણ કરતબો દેખાડયા હતા. ભારતના ઘણા ડિસ્ટ્રોયર્સ, ફ્રિગેટ્સ અને સબમરીન તથા મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટે પણ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો.
• મેહુલ ચોકસી નકલી હીરા બનાવીને વેચતોઃ પીએનબી કૌભાંડી મેહુલ ચોકસી અંગે ઈડીએ મુંબઈ કોર્ટમાં ફાઈલ કરેલી નવી ચાર્જશીટમાં જણાવ્યું છે કે, મેહુલ તેના ગ્રાહકો અને ભારત, દુબઈ અને અમેરિકાના ધિરાણકારો અને નાણાકીય સંસ્થાનોને ઠગવા માટે નકલી હીરા અને પ્રોપર્ટી વેચવાનું રેકેટ ચલાવતો હતો.
• વિરપ્પનની પુત્રી ભાજપની યુવા પાંખની નેતાઃ દક્ષિણના જંગલોમાં હાથીદાંત - ચંદનની તસ્કરીથી કુખ્યાત ચંદનચોર વિરપ્પનની પુત્રી ભારતીય જનતા પુક્ષની તામિલનાડુ યુવા પાંખની ઉપ-પ્રમુખ બની છે. વિદ્યા વિરપ્પન કાયદાની ગ્રેજ્યુએટ છે અને અત્યારે ક્રિષ્નાગિરીમાં સ્કૂલ ચલાવે છે.
• વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં રૂ. ૯૦૦૦ કરોડ રોકશેઃ કોરોનાના પગલે ઓનલાઇન ખરીદીનું ચલણ વધતાં ફ્લિપકાર્ટની પિતૃક કંપની વોલમાર્ટ ફિલ્પકાર્ટમાં ૧.૨ અબજ ડોલર (આશરે રૂ. ૯૦૦૦ કરોડ)નું રોકાણ કરશે.
• જૈશના કમાન્ડર સહિત ૩ આંતકી ઠારઃ જમ્મુ કાશ્મીરના કુલગામમાં આર્મીના જવાનો સાથે એન્કાઉન્ટરમાં જૈશે મોહમ્મદના ૩ આતંકીઓને ૧૭મીએ ઠાર કરાયા હતા. ૩ પૈકી એક જૈશનો ટોચનો કમાન્ડર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
• વોડાફોનને સુપ્રીમ કોર્ટની ચેતવણીઃ સુપ્રીમ કોર્ટે ૨૦મી જુલાઈએ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) મામલે આદિત્ય બિરલા ગ્રૂપની કંપની વોડફોન આઈડિયાને ચેતવણી આપી કે, હવે તે બાકી ભરણા નહીં ભરે તો અધિકારીઓને જેલમાં મોકલશે કંપનીએ કહ્યું કે, કંપનીની કમાણી પતી ગઈ છે. એવામાં એજીઆરની રકમની તાત્કાલિક ચૂકવણી શક્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter