નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમી વધારા પછી સોમવારે ભારતનો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિશ્વના ૧૦ દેશોમાં સમાવેશ થયો હતો. ભારત કોરોનાના ૧.૪૧ લાખ કેસ સાથે ઈરાનને પાછળ પાડીને આ યાદીમાં જોડાઈ ગયું છે. દેશમાં મંગળવારે કુલ મૃત્યુઆંક ૪,૧૬૭ થયો હતો. જ્યારે નવા કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૧,૪૫,૩૮૦ થઈ હતી. અત્યાર સુધીમાં કોરોનાના ૫૯,૬૮૯ દર્દી સાજા થઈ ગયા છે જે દર્શાવે છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૪૨ ટકાથી વધુ છે. દેશમાં અનેક નિષ્ણાતોએ કોરોનાના કેસ વધવા પાછળ શ્રમિક ટ્રેનો અને સ્થાનિક ઉડ્ડયન સેવાને મંજૂરી સહિત લોકડાઉનમાં અપાયેલી છૂટછાટોને જવાબદાર ઠેરવે છે તો કેટલાકના મતે કોરોનાના ટેસ્ટ વધ્યા હોવાથી કેસ વધી રહ્યા છે. ભારત કોરોનાના ૧.૪૧ લાખ કેસ સાથે વિશ્વનો ૧૦મો દેશ છે, જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ભારતની આગળ અમેરિકા, રશિયા, બ્રિટન, સ્પેન, ઈટાલી, બ્રાઝિલ, જર્મની, તૂર્કી અને ફ્રાન્સ છે. ભારતમાં કેસ વધવાની સાથે ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે.