જમ્મુઃ પાકિસ્તાન તરફથી એલઓસી પર વારંવાર યુદ્ધવિરામના ઉલ્લંઘન પછી ભારતીય આર્મી દ્વારા ફરી એકવાર આક્રમક વલણ અપનાવીને પાકિસ્તાન સૈન્યના વહીવટી મુખ્ય મથકનો ખુરદો બોલાવી દીધો હતો. ૨૩ ઓક્ટોબરે પંચ જિલ્લા નજીકની એલઓસી પર પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબાર કરાયો હતો. ભારતીય લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ જ નિયંત્રણ રેખાથી નજીકના પાકિસ્તાન લશ્કરના વહીવટી મુખ્યમથકને તબાહ કર્યું હતું. એવું કહેવાય છે કે આ કાર્યવાહીમાં પાકિસ્તાની લશ્કરને ઘણું મોટું નુકસાન થયું છે. ભારતીય જવાનો ઉપર પાકિસ્તાનની બેટ ટીમ દ્વારા ૨૧ ઓક્ટોબરે હુમલો કરાયો હતો. તેમાં ત્રણ ભારતીય જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ એલઓસી પર તણાવની પરિસ્થિતિ હતી. ભારતીય લશ્કરે પાક. લશ્કરના મડામથક પર મોટી માત્રામાં હુમલો કર્યો હતો. તેને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. સોમવારે તેની સેટેલાઇટ તસવીર પણ બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં પણ આવી જ એક કાર્યવાહીમાં પાકિસ્તાની બંકરને ઉડાવી દેવાયા હતા.
આતંકવાદીઓ દ્વારા હવે સ્નાઇપર એટેક
કાશ્મીરમાં પહેલી વાર આતંકવાદીઓ દ્વારા સ્નાઇપર એટેકથી જવાનોની હત્યાનો સિલસિલો શરૂ થવાથી પણ ભારતે આતંકીઓને આકરો જવાબ વાળવાનું નક્કી કર્યું હતું. આતંકવાદીઓએ સ્નાઇપર એટેક દ્વારા ૩ જવાનોની હત્યા કરી હોવાની શંકા છે. ૨૮મીએ સવારે શ્રીનગર નજીકના નૌગામમાં સ્નાઇપર એટેકમાં સીઆઈએસએફના એક અધિકારી શહીદ
થયા હતા.


