નવી દિલ્હીઃ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસાવાયેલી દેશની એકમાત્ર સ્વદેશી કોરોના રસી કોવેક્સિનના બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો લાન્સેટ જર્નલમાં પ્રસિદ્ધ કરાયાં છે. તેમાં દાવો કરાયો છે કે વેક્સિનના હાયર ડોઝ લેનારા પૈકીના ૯૬ ટકા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી છે.
બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં રસી દ્વારા કોરોના વાઇરસની સામે રોગપ્રતિકારક શક્તિ વિકસે છે અને તે કેટલી સુરક્ષિત રહે છે તે પાસા ચકાસવામાં આવ્યાં હતાં. લાન્સેટે જણાવ્યું હતું કે, બીજા તબક્કાની ટ્રાયલના આધારે વેક્સિનની અસરકારકતા નક્કી કરી શકાય નહીં.
કોવેક્સિન સુરક્ષિત છે અને તેને બે થી ૮ ડિગ્રી તાપમાને સંગ્રહ કરી શકાય છે. જે મોટાભાગના દેશોમાં કોલ્ડ ચેઇન સુવિધાઓ સાથે સુસંગત છે. જોકે હજુ આ રસીની બાળકો ને ૬૫થી વધુ વયના વૃદ્ધો પર કેવી અસર રહે છે તેની ચકાસણી બાકી છે.
ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ સ્વદેશી ધોરણે વિકસાવાયેલી આ વેક્સિન મેળવવા દુનિયાના અનેક દેશોએ ભારત સરકાર સમક્ષ તત્પરતા દર્શાવી છે.