શ્રીનગરઃ પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે કઠુઆ, હીરાનગર, રાજૌરી અને પૂંચ જિલ્લામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરાયું હતું. હીરાનગર સેક્ટરમાં બોબિયા પોસ્ટ પર પાકિસ્તાન તરફથી કરાયેલાં ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપતાં સાત પાકિસ્તાની રેન્જર ઠાર માર્યા હતા જ્યારે ભારત તરફે બીએસએફના બે જવાનોને ઈજા પહોંચી હતી.
બીએસએફે જણાવ્યું હતું કે, કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સવારે ૯:૪૫ કલાકે પાકિસ્તાની દળોએ બોબિયા પોસ્ટ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ૩૦ મિનિટ સામસામા ગોળીબારમાં પાકિસ્તાનના ૭ રેન્જર માર્યા ગયા હતા જ્યારે ભારતીય જવાન ગુરનામસિંહને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.