નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે માઝા મૂકી રહ્યું છે. રોજના ૧૦,૦૦૦ કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. ૨૩મી જૂનના અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોના કેસનો આંકડો ૪૫૬૦૬૨ નોંધાયો હતો અને મોતની સંખ્યા ૧૪૪૮૩ થઈ હતી. આ બીમારીમાંથી રિકવર થયેલાનો આંકડો ૨૫૮૫૨૩ નોંધાયો હતો. આ ઉપરાંત ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો પણ વધ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી, તેલંગણા અને આસામમાં મોટાપાયે નવા કેસ સામે આવતા આ આંક વધ્યા છે. જોકે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશનો રિકવરી રેટ વધીને ૫૫.૭૭ ટકા થઈ ગયો છે. દિલ્હીનો પણ રિકવરી રેટ ૫૫ ટકાને વટાવી ગયો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની પ્રતિ લાખ કેસની સરેરાશ છે જે વિશ્વમાં સૌથી ઓછી છે. બીજી તરફ રિકવરી રેટ ૫૬ ટકા સુધી પહોંચવા આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં પ્રતિ એક લાખ કોરોનાના ૩૦.૦૪ કેસ જોવા મળી રહ્યા છે જે વિશ્વની સરેરાશ કરતાં ઘણા ઓછા છે.
રાજ્યો અનલોક-૨ની યોજના બનાવેઃ નરેન્દ્ર મોદી
આ બધા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન અંગે મોટી જાહેરાત કરતાં ૧૮મીએ જણાવ્યું હતું કે, ફરીથી લોકડાઉન આવશે તેવી અફવા નેવે મૂકીને રાજ્યો અનલોક-૨.૦ની યોજના બનાવે. ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનો અને પ્રતિનિધિઓ સાથેની ચર્ચામાં મોદીએ જણાવ્યું હતું કે વધારે ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ, દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર અને નાના ઘરોએ કોરોના વિરુદ્ધની લડાઈને વધુ પડકારજનક બનાવી દીધી છે.