ભારતમાં કોરોના કેસનો આંકડો ૯૧ લાખને પારઃ અનેક રાજ્યોએ પ્રતિબંધ ફરમાવ્યા

Wednesday 25th November 2020 06:05 EST
 
 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વાયરસના ચેપગ્રસ્તોનો આંકડો ૨૯૬ દિવસોમાં જ ૯૧ લાખને પાર થઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૯૫૯ નવા દર્દીઓ નોંધાયા છે. ત્યારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૯૧,૩૯,૮૬૫ થઈ ચૂકી છે. આ સાથે કોરોનાનો ભોગ બનેલાઓના કુલ મૃત્યુઆંક ૧,૩૩,૭૩૮ પર પહોંચ્યો છે.
જોકે સારી બાબત એ પણ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૦૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશભરમાં ખતરનાક વાયરસને મહાત કરનારા લોકોની સંખ્યા ૮૫,૬૨,૬૪૧ પર પહોંચી ચૂકી છે.

હોંગકોંગે દિલ્હીથી આવતી ફ્લાઇટ અટકાવી

હોંગકોંગે ત્રીજી ડિસેમ્બર સુધી દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સથી હોંગકોંગ પહોંચેલા કેટલાક મુસાફરો કોરોના પોઝિટિવ નીકળતા આ નિર્ણય લેવાયો છે. આ પાંચમી વખત એમ બન્યું છે કે જ્યારે ભારતથી એર ઇન્ડિયાથી ફ્લાઇટ્સ પર હોંગકોંગની સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલાં એર ઇન્ડિયાની દિલ્હીથી હોંગકોંગની ફ્લાઇટ્સ માટે ૧૮થી ૩૧મી ઓગસ્ટ, ૨૦મી સપ્ટેમ્બરથી ત્રીજી ઓક્ટોબર તેમજ ૧૭થી ૩૦ ઓક્ટોબર દરમિયાન જ્યારે મુંબઈથી હોંગકોંગની ફ્લાઈટ્સ પર ૨૮મી ઓક્ટોબરથી ૧૦મી નવેમ્બર પ્રતિબંધ મૂકાયો હતો.

વિવિધ રાજ્યોમાં પ્રતિબંધાત્મક આદેશ

દેશમાં બેફામ બની રહેલી કોરોના મહામારી સામે બાથ ભીડવા વિવિધ રાજ્ય સરકારો દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં જયપુર, જોધપુર, બીકાનેર, ઉદેપુર, અજમેર, કોટા, અલવર અને ભીલવાડા એમ આઠ જિલ્લામાં રવિવારથી રાતના ૮થી સવારના ૬ કલાકના નાઇટ કરફ્યૂનો અમલ શરૂ કરી દેવાયો છે.
રાજસ્થાન સરકારે માસ્ક નહીં પહેરવા માટેનો દંડ રૂપિયા ૨૦૦થી વધારીને રૂપિયા ૫૦૦ કર્યો છે અને નવી ગાઇડલાઇનમાં સાંજના ૭ વાગ્યાથી તમામ બજાર, ઓફિસ અને કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે આવશ્યક સેવાઓને નાઇટ કરફ્યૂમાંથી મુક્તિ અપાઇ છે.
મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસને પગલે રાજ્ય સરકાર ફરી એક વાર લોકડાઉન લાગુ કરે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે, દિવાળીમાં બજારોમાં ભીડનાં કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આગામી ૮થી ૧૦ દિવસ સ્થિતિની સમીક્ષા કરીને લોકડાઉન અંગેનો નિર્ણય કરાશે.
મધ્ય પ્રદેશમાં ૯ જિલ્લામાં કોરોના સંક્રમણ માઝા મૂકી રહ્યું છે. જોકે રાજ્ય સરકાર લોકડાઉન માટે તૈયાર નથી. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રવિવારે એક કલાકની સમીક્ષા બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી થોડાક દિવસોમાં આવશ્યક પગલાં લેવાશે.
હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈ સીમલા, મંડી, કાંગરા, કુલુમાં રાત્રિ કરફ્યૂ લાદી દેવાયો છે. રાજ્યમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
કર્ણાટક સરકારે પણ કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં શિક્ષણ સંસ્થાનો શરૂ કરવાનો નિર્ણય મુલત્વી રાખ્યો હતો. સરકારે ડિસેમ્બર અંત સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.

ભારતમાં વેક્સિનેશન માટે તખતો તૈયાર

દુનિયાની નજર કોરોનાની અસરકારક વેક્સિન પર મંડાયેલી છે. આમ તો દુનિયાભરમાં કુલ ૭૩ વેક્સિન સંશોધનના જુદા-જુદા તબક્કે છે. જેમાંથી ૬ વેક્સિનનો ઇમરજન્સી ઉપયોગ શરૂ થઇ ગયો છે. ૭૩માંથી ૫ મુખ્ય વેક્સિન છે. જે આ વર્ષે ડિસેમ્બરથી આવતા વર્ષે એપ્રિલ સુધીમાં બજારમાં આવવાની શક્યતા છે. ભારતમાં કોરોના વેક્સિનેશન માટે સરકાર કોવિન એપની મદદ લેશે. રસીકરણની યાદીમાં સામેલ કરીને વ્યકિતને આધાર કાર્ડ મારફતે જોડાશે. જોકે જેમની પાસે આધાર કાર્ડ ન હોય તેમના માટે શું પગલાં ભરાશે તેની માહિતી હજુ નથી અપાઇ. આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર જુલાઇ ૨૦૨૧ સુધીમાં પ્રાથમિકતા અનુસાર ૨૫-૩૦ કરોડ ભારતીયોને રસી અપાઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter