નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૭૪૦૧૩૧ નોંધાયો હતો. મૃતકાંક ૨૦૬૩૬ અને સાજા થયેલા લોકોની સંખ્યા ૪૫૫૧૯૧ જેટલી નોંધાઈ હતી. ભારતમાં અનલોક-૨ લાગુ થયા પછી કેટલાક ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. અમેરિકા અને બ્રાઝિલ પછી ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વિશ્વમાં ત્રીજું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઇરસના સેમ્પલ પોઝિટિવ આવવાનો દર ૬.૭૩ ટકા નોંધાયો છે. સરકારે ટેસ્ટ વધારવા, કોન્ટેક્ટ ટ્રેસિંગને વેગ આપવા અને કોવિડ-૧૯ના કેસોના સમયસર ક્લિનિકલ મેનેજમેન્ટ પર ભાર મૂક્યો છે.
દેશમાં રોજના સરેરાશ બે લાખ ટેસ્ટ
આઇસીએમઆરના મીડિયા ઓર્ડિનેટર લોકેશ શર્માએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના દર્દીઓને શોધી કાઢવા સતત ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં એક કરોડ કરતાં વધુ એટલે કે ૧૦૦૦૪૧૦૧ સેમ્પલના ટેસ્ટ થઇ ચૂક્યાં છે. રવિવારે ૧,૮૦,૫૯૬ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. દેશમાં હાલ ૧૧૦૫ લેબ સક્રિય છે. જેમાં ૭૮૮ સરકારી અને ૩૧૭ પ્રાઇવેટ લેબનો સમાવેશ થાય છે. દેશમાં કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ૧૪ દિવસથી રોજના સરેરાશ બે લાખ સેમ્પલના ટેસ્ટ થાય છે.
દિલ્હીમાં એક જ ઘરમાં રહેતા ૧૭ સભ્યોનો કોરોના પર વિજય!
દિલ્હીમાં રહેતા મુકુલ ગર્ગના પરિવારના ૧૭ સભ્યો કોરોના વાઇરસથી સંક્રમિત થયાં હતાં. મુકુલના ૯૦ વર્ષના દાદા, ૮૭ વર્ષના દાદી અને ૬૨ વર્ષીય પિતા સહિત ૩ મહિનાનું બાળક સુદ્ધાં કોરોના સંક્રમિત હતાં. એમાંથી ફક્ત મુકુલના કાકી અનિતાની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. મુકુલ પોતે ડોક્ટર છે તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ ઘરમાં સૌની સારવાર કરી હતી. મુકુલે પરિવારના સભ્યોને વિટામિન સપ્લિમેન્ટ્સ સહિતની સારવાર શરૂ કરી હતી અને અંતે પરિવારના તમામ સભ્યો કોરોનાને પરાજય આપવામાં સફળ થયા હતા.
દિલ્હીમાં વિશ્વના સૌથી મોટા ૧૦૦૦૦ બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ
નવીદિલ્હી: દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રવિવારે બે સેન્ટર શરૂ કરાયા હતા. રાધાસ્વામી સત્સંગ બ્યાસ પરિસરમાં ૧૦ હજાર બેડ ધરાવતા કોવિડ સેન્ટરનું ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ઉદઘાટન કર્યું. તેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ કેર સેન્ટર રખાયું છે. આ વિશ્વની સૌથી મોટું કેર સેન્ટર છે. આ સેન્ટરમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર થશે. તેમાં વેન્ટિલેટરના સ્થાને ઓક્સિજનની સવલત હશે.
બીજી બાજુ ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાને ડીઆરડીઓની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. દિલ્હીના છત્તરપુર વિસ્તારમાં ૧૦૦૦ બેડ ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન અમિત શાહ અને રાજનાથ સિંહે કર્યું હતું. તેમાં ૨૫૦ આઈસીયુ બેડ છે. આ હોસ્પિટલ ૧૨ દિવસમાં જ તૈયાર કરાઈ છે. તેમાં અલગ-અલગ વોર્ડના નામ ગલવાન વેલીમાં શહીદ થયેલા જવાનોના નામ પર રાખવામાં આવ્યા છે.