ભારતમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસની સંખ્યા ૫૦ થઈ

Wednesday 11th March 2020 06:35 EDT
 
 

નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસનો ચેપ હવે દુનિયાના ૧૦૯ દેશોમાં પ્રસરી ચૂક્યો છે અને ૧,૧૩, ૭૫૧થી વધુ લોકોને આ ચેપ લાગ્યો છે. ચીન બાદ સૌથી વધારે કફોડી હાલત સાઉથ કોરિયા, ઇટાલી, ઈરાનમાં થઈ છે. યુરોપમાં ૩૦ દેશોમાં આ ચેપ ફેલાયો છે અને ૧૨૩૪૫ લોકોને ચેપ લાગતાં તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ૨૦ દેશોમાં ૩૯૯૦ લોકોનાં મૃત્યુ થયાં છે. એકલા ચીનમાં ૩૨૧૦ લોકોના અને ચીનના બહાર ૮૬૧ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. ચીનમાં ૮૦,૭૩૯ લોકોને કોરોનાનો ચેપ લાગ્યાના અહેવાલ છે ત્યારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૫૦ સુધી પહોંચી છે. જોકે દેશમાં કોરોનાથી મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી.

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, બીજા દેશો કરતાં ભારતમાં કોરોના વાયરસ અંગે સ્થિતિ બહેતર છે અને એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, પણ તંત્ર જરાય ગાફેલ નથી અને પ્રજાને પણ જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચન કરે છે. ત્યાં સુધી કે ચીનથી આવેલા જહાજોમાં સવાર ૧૬,૦૭૬ પ્રવાસી-ક્રૂને ભારતીય બંદરો પર ઉતરવાની પરવાનગી પણ અપાઇ નહોતી. ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, તંત્ર તરફથી દેશમાં વિવિધ હોસ્પિટલોમાં ૩૦૦૦ લોકોને આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. સોમવારે નવા ૬ કેસ અને મંગળવારે વધુ શંકાસ્પદ કેસ બહાર આવતાં કોરોનાના કેસની સંખ્યા ૫૦ સુધી પહોંચી છે. દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશનાં આગરા, જમ્મુ અને કાશ્મીર, કેરળના એર્નાકુલમ, કર્ણાટકના બેંગ્લૂરુમાં કોરોનાના કેસ નોંધાયા છે. 

ઇટાલીથી પંજાબ આવેલા એકને કોરોનાનો ચેપ લાગ્યો છે. બીજી તરફ અમેરિકાથી દુબઈ થઈને બેંગલુરુ પહોંચેલા એક સોફ્ટવેર એન્જિનિયરને પણ ચેપ લાગ્યો છે. આ એન્જિનિયરને હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને એની પત્ની, બાળકો અને ડ્રાઈવરના સેમ્પલ લઈ તેને આઈસોલેશન વોર્ડમાં રખાયાં છે. કાશ્મીરમાં ઇરાનથી પરત આવેલાં ૬૩ વર્ષનાં એક મહિલાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં સાઉદી અરબથી આવેલા ડાયબીટિક દર્દીનું મૃત્યુ થયું હતું જોકે તેના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
કેરળમાં એક જ પરિવારના પાંચને કોરોના
રવિવારે કેરળના પથનમથિટ્ટામાં એક જ પરિવારના પાંચના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમાંથી ૩ જણાએ તાજેતરમાં જ ઇટાલીની મુલાકાત લીધી હતી જ્યારે અન્ય બે આ ૩ના સંપર્કમાં આવતાં સંક્રમિત થયા હતા. કેરળના આરોગ્ય પ્રધાન શૈલજાએ જણાવ્યું હતું કે, ઇટાલીથી પરત ફર્યા પછી એરપોર્ટ પર જ ત્રણેયે હેલ્થડેસ્ક કે નજીકની હોસ્પિટલમાં બીમાર હોવાની જાણ કરી નહોતી. તાવનાં લક્ષણો છતાં તેઓ આઇસોલેશનમાં રહેવા માગતા નહોતા. જિલ્લા સત્તાવાળાઓએ આ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા ૩૦૦૦ લોકોની તપાસ શરૂ કરી હતી.
કેરળમાં બર્ડફ્લુએ માથું ઉંચકતાં ભય
કોરોનાના ભય વચ્ચે કેરળમાં બર્ડફલુએ પણ માથું ઉચકતાં રાજ્ય સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યો છે. બર્ડ ફ્લુની જાણ થતાં જ ટૂંક સમયમાં કેરળના કોઝીકોટ જિલ્લાના બે ગામડાઓમાં મરઘીઓ અને પાલતુ પક્ષીઓને મારી નાંખવાની શરૂઆત કરાશે, એમ રાજ્ય પશુપાલન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.
અરુણાચલનો વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ
અરુણાચલ પ્રદેશની સરકારે કોરોના અટકાવવા વિદેશી પ્રવાસીઓને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશી પર્યટકોને અપાયેલી પરમિટ હંગામી ધોરણે રદ કરી દેવાઇ છે. મુખ્ય સચિવ નરેશકુમારે પરમિટ જારી કરતા તમામ સત્તાવાળાઓને વધુ આદેશ જારી ન થાય ત્યાં સુધી પરમિટ જારી નહીં કરવાના આદેશ પણ જારી કર્યા હતા.
મથુરા ઇસ્કોન મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ
કોરોના અંગે સાવચેતી રૂપે અટારી સરહદ પર પાકિસ્તાનથી આવતા ટ્રક ડ્રાઇવરોનું સ્ક્રીનિંગ શરૂ કરાયા પછી અમૃતસરમાં સુવર્ણમંદિરમાં લોકોને જાગૃત કરવા સ્પેશિયલ કાઉન્ટરનો પ્રારંભ થયો છે. મથુરામાં ઇસ્કોન મંદિરમાં આગામી બે મહિના સુધી વિદેશી શ્રદ્ધાળુઓના પ્રવેશ પ્રતિબંધ છે.
કોરોનાના પગલે દિલ્હી સરકારે તમામ પ્રાથમિક શાળાઓ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ પણ બંધ કરવાની સલાહ અપાઈ છે.
મોદી બાંગ્લાદેશ નહીં જાય
કોરોના વાઇરસની અસરો હવે આંતરરાષ્ટ્રીય મુલાકાતો પર પણ વર્તાવા લાગી છે. ૧૩મી માર્ચે બ્રસેલ્સમાં યોજાનારી ભારત – ઈયુ શિખર મંત્રણા મોકૂફ રખાઈ છે. ભારત અને યુરોપિયન સંઘે શિખર મંત્રણા મોકૂફ રાખવાનો નિર્ણય કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રસેલ્સની મુલાકાત રદ કરી છે. બાંગ્લાદેશમાં કોરોના વાઇરસના ૩ નવા દર્દી મળ્યા બાદ વડા પ્રધાન મોદીએ તેમનો ઢાકા પ્રવાસ રદ કરી દીધો છે. તેઓ ૧૭ માર્ચે ઢાકા જવાના હતા. આ ઉપરાંત દિલ્હીમાં ૧૨-૧૩ માર્ચે યોજાનારી એશિયન સિક્યોરિટી કોન્ફરન્સ પણ કોરોનાના ભયે રદ કરાઇ હતી.
પેરાસિટામોલ નિકાસ પર પ્રતિબંધ
ચીન સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકારે સારવાર માટેની દવાઓના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પેરાસિટામોલ સહિતના ૨૬ સંયોજનો અને એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિઅન્ટ્સ (એપીઆઇ) ની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. ડિરેક્ટોરેટ ઓફ ફોરેન ટ્રેડે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું હતું. આ જાહેરનામાનો તાત્કાલિક અમલ શરૂ કરાયો છે.

‘આખું વિશ્વ નમસ્તેની આદત પાડી રહ્યું છે, આપણે પણ ટેવ પાડો’ 

મેં ભગવાનને તો નથી જોયા, પરંતુ મોદી જી હું તમારામાં જોઉ છું. દીપા શાહ નામની મહિલાની આ વાત સાંભળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જન ઔષધિ દિવસે ભાવુક થઇ ગયા હતા. કાર્યક્રમમાં લકવાગ્રસ્ત મહિલાએ કહ્યું કે, જન ઔષધિ દવાઓના લીધે તેમની સ્થિતિ સુધરી છે અને ખર્ચ પણ ઓછો થયો છે. દીપાએ કહ્યું કે, મને લકવો થયો હતો, હું બોલી શકતી નહોતી. સારવાર જે ચાલી રહી હતી તે ખૂબ જ મોંઘી હતી તેના લીધે ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. પછી જન ઔષધિ (જેનેરિક) દવાઓ લેવાનું શરૂ કર્યું. તેના લીધે પૈસા બચ્યા અને બાકી બચેલા પૈસામાં ઘર ચલાવું છું, ફળ ખાઉ છું. મહિલાએ આગળ કહ્યું કે મેં ઇશ્વરને જોયા નથી પરંતુ ઇશ્વરના રૂપમાં મોદીને જોયા છે. આમ બોલતા મહિલા રડવા લાગી. ત્યાં મોદી પણ ભાવુક થઇ ગયા. કોરોના વાઇરસ અંગે ફેલાવવામાં આવતી ખોટી અફવાઓ ધ્યાનમાં નહીં લેવા અને સતર્ક રહેવા નરેન્દ્ર મોદીએ લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આવા સમયે અફવા ઝડપથી ફેલાતી હોય છે પણ તેનાંથી ડરવું નહીં કે ગેરમાર્ગે દોરાવું નહીં. લોકો કહે છે કે આ ખાવું અને આ ન ખાવું. આ ખાવાથી કોરોના વાઇરસની અસર થશે નહીં પણ જે કંઈ ઉપચાર કે સારવાર કરો તે ડોક્ટરની સલાહથી કરવી. મોદીએ જન ઔષધિ દિવસે યોજનાનાં લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. પરિવારમાં કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો આખા પરિવારનો ટેસ્ટ કરાવવા તેમજ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા કહ્યું હતું. આખું વિશ્વ હાલ કોરોનાનાં ચેપથી બચવા હાથ મિલાવવાને બદલે નમસ્તેની આદત પાડી રહ્યું છે ત્યારે આપણે પણ નમસ્તેની ટેવ પાડવાનો આ યોગ્ય સમય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter