નવી દિલ્હીઃ ગયા વર્ષે કોરોના વાઈરસ દેશમાં પહેલી વાર આવ્યો, ત્યારે અહીં દુનિયાનું સૌથી કડક લોકડાઉન લગાવાયું હતું. એમાં સ્પષ્ટ ચેતવણી હતી કે, ૧૩૦ કરોડથી વધુની વસતી પર આ વાઈરસ ઝડપથી ફેલાશે તો ખતરનાક સ્થિતિ સર્જાશે. જોકે, આ લોકડાઉન ભૂલોથી ભરેલું હતું અને તેનાથી ઘણું નુકસાન થયું, પરંતુ સંક્રમણ રોકવામાં તે અસરકારક સાબિત થયું હોવાનું દેખાયું. સંક્રમણ દર ઘટતો હતો અને તુલનાત્મક રીતે ઓછો હતો. પછી સરકારે અને પ્રજા પણ સાવધાની ભૂલીને રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ ગઈ. નિષ્ણાતોએ ચેતવણી પણ આપી કે, આવી કાર્યપદ્ધતિથી સંક્રમણની વધુ એક લહેર આવી શકે છે. જોકે, મૃત્યુદર હજુ ઓછો છે, પરંતુ વધી રહ્યો છે. આટલા મોટા દેશમાં રસીકરણ કરવું સરળ નથી. આમ છતાં, આ કામ ધીમે ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં બેડ પણ ઓછી પડી રહ્યા છે.
વિજ્ઞાનીઓ વાઈરસના નવા સ્ટ્રેનને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને, અહીં એ સ્ટ્રેનની ઓળખનો પ્રયાસ કરી રહ્યા છે, જેનાથી બ્રિટન, દક્ષિણ આફ્રિકામાં ખતરો સર્જાયો હતો. મુશ્કેલી એ છે કે, તંત્રએ એવું કહીને હથિયાર હેઠાં મૂકી દીધા કે, કોન્ટેક્ટ ટ્રેસિંગ લગભગ અશક્ય છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, લાપરવાહી અને સરકારની ખોટી નીતિઓના કારણે ભારત આજે દુનિયાનો સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ બની ગયો છે, જ્યારે એક સમયે દેશમાં કોરોના વિરુદ્ધનું અભિયાન સફળ નજરે પડતું હતું. તેની અસર ફક્ત ભારત પર નહીં, આખી દુનિયા પર પડશે. આમ છતાં, નેતાઓ મોટી રેલીઓ કરતા નજરે પડી રહ્યા છે.
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન ડો. કે. શ્રીનાથ રેડ્ડી કહે છે કે, જો આપણે ચારથી છ અઠવાડિયા કંઈક કરીને સફળતાનો ઢંઢેરો પીટીને લાપરવાહી રાખીશું, તો આપણે મુશ્કેલીમાં મૂકાઈ શકીએ.
સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસીના ડિરેક્ટર ડો. રામાનન લક્ષ્મીનારાયણ કહે છે કે, જો રસી લગાવવાની ગતિ વધારાશે, તો ૭૦ ટકા વસતીને રસી આપવામાં બે વર્ષ લાગી જશે. વડા પ્રધાન મોદી લોકડાઉનના બદલે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટથી બીજી લહેરને કાબુમાં લેવાનું સૂચન કરી રહ્યા છે.બીજી તરફ, તેમના અધિકારીઓ રાજ્ય સરકારો અને પ્રજાના વર્તનનો દોષ કાઢી રહ્યા છે. હાલ દેશમાં ૩૦-૫૦ કરોડ સંક્રમિત થઈ ચૂક્યા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, હજુ ૮૦-૯૦ કરોડ સંક્રમિત નથી. આ સૌથી મોટી ચિંતાનો વિષય છે.
આગામી એક મહિનો મહત્ત્વનો
ભારતમાં બે તૃતિયાંશ વસતીની ઉંમર ૩૫ વર્ષથી ઓછી છે. જો કોરોનાથી મૃત્યુદર ૪૫-૭૫ વર્ષની વસતીમાં માપીએ, તો સ્થિતિ અમેરિકા, ઈટાલી અને બ્રાઝિલથી પણ ખરાબ દેખાશે. હાલની લહેરમાં સંક્રમણનો વેરિયેન્ટ જુદો હોઈ શકે છે, પરંતુ તેની પુષ્ટિ ત્યાં સુધી ના થઈ શકે, જ્યાં સુધી જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટની માત્રા ૫% ના થઈ જાય. હાલ આ સંખ્યા એક ટકો જ છે. નિષ્ણાતોના મતે, આપણે કયા વેરિયેન્ટનો સામનો કરી રહ્યા છીએ, તે જાણવા માટે આગામી એક મહિનો ખૂબ જ મહત્ત્વનો છે.