નવી દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રાખવા એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઇન્સને નિર્દેશ આપ્યા છે. ડીજીસીએ પોતાના આદેશમાં વધુમાં જણાવ્યું છે કે જો વિમાનમાં વધારે યાત્રી હોવાને કારણે વચ્ચેની સીટ ફાળવવી પડે તો વચ્ચેની સીટવાળા યાત્રીને સુરક્ષાના વધુ ઉપકરણો પૂરા પાડવાના રહેશે. જેમાં થ્રી લેયર માસ્ક, ફેસ શિલ્ડ અને ટેક્સટાઇલ મંત્રાલયે નક્કી કરેલા માપદંડ આધારિત ગાઉનનો સમાવેશ થાય છે.
સંક્ષિપ્ત સમાચાર
• તાજેતરમાં ભારતીય વાયુ સેનાના વડા એર ચિફ માર્શલ રાકેશકુમાર સિંઘ ભદૌરિયાએ ‘તેજસ’ લડાયક વિમાનમાં બેસીને કોઈમ્બ્તુરની નજીક આવેલ સુલુર એરફોર્સ સ્ટેશનથી તાજેતરમાં ઉડાન ભરી હતી. તેજસને એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરાયું છે.
• ૨૯મી મેએ લોકડાઉનમાં સાતમી વાર દિલ્હી-એનસીઆરમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
• વડા પ્રધાન મોદીની આગેવાનીમાં પહેલી જૂને મળેલી કેબિનેટની બેઠકમાં ફેરિયાઓને રૂ. ૧૦ હજાર સુધીની લોન, એમએસએમઈને રૂ. ૨૦,૦૦૦ કરોડની સબસિડી અને કૃષિના ૧૫ પાકને લઘુત્તમ સમર્થન મૂલ્ય આપવાની જાહેરાત થઈ હતી.
• હિઝબુલ અને જૈશના ૩ આતંકીઓે ૨૮મી મેએ ૪૫ કિલો વિસ્ફોટક સામગ્રી સાથે પકડાયા હતા. સુરક્ષાદળોની ૨૦ ગાડી અને આશરે ૪૦૦ જવાનોને નિશાન બનાવીને હુમલો થવાનો હતો.
• છત્તીસગઢના પહેલા મુખ્ય પ્રધાન અને છત્તીસગઢ જનતા કોંગ્રેસના સુપ્રીમો અજિત જોગીનું ૨૯મી મેએ બપોરે નિધન થયું હતું.
• ઈન્કમટેક્સ ડિરેક્ટરોટે તાજેતરમાં જણાવ્યું હતું કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં તેણે આરોપી રાજીવ સક્સેનાની માલિકીની રૂપિયા ૩૮૫ કરોડની મિલકતો પર પીએમએલએ કાયદા હેઠળ ટાંચ મૂકી છે.