નવી દિલ્હી: ભારતમાં સોમવારે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૮૪.૦૭ લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે એક વિશ્વવિક્રમ રચાયો છે કારણ કે અત્યાર સુધીમાં વિશ્વના કોઈ પણ દેશમાં એક દિવસમાં ૫૫ લાખથી વધુ રસી અપાઈ નથી. ચીન જોકે દરરોજ ૨ કરોડ વેક્સિન ડોઝ આપ્યાનો દાવો કરે છે પરંતુ આંતરરાષ્ટ્રીય બિરાદરી આ દાવાને યોગ્ય માનતી નથી.
ખાસ બાબત એ છે કે રસી લેનારામાંથી ૭૪ ટકા એટલે કે ૬૧ લાખ લોકો ૧૮થી ૪૪ વર્ષની વયના છે. દેશમાં અત્યાર સુધીમાં રસીની દૈનિક સરેરાશ ૩૧ લાખની હતી. વેક્સિનેશનનો વિક્રમ સર્જવામાં ભાજપ શાસિત રાજ્યો મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની ભૂમિકા મહત્ત્વની રહી હતી. આ પાંચ રાજ્યોમાં કુલ ૪૪ લાખ એટલે કે દેશની ૫૨ ટકા રસી મૂકવામાં આવી હતી.
ગુજરાતમાં એક જ દિવસમાં પાંચ લાખથી વધુને રસી મૂકવામાં આવી છે તો રસીકરણમાં વસતીના હિસાબે સૌથી પાછળ ચાલી રહેલા મધ્ય પ્રદેશે ૧૬.૦૨ લાખ રસી આપીને આંધ્ર પ્રદેશનો રેકોર્ડ તોડ્યો છે. આંધ્ર પ્રદેશમાં રવિવારે ૧૩.૩ લાખ રસી અપાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતની આ વેક્સિનેશન સિદ્ધિને બિરદાવતા ટ્વિટ કર્યું હતુંઃ વેલડન ઇંડિયા.