નવી દિલ્હી:ભારત સરકારે મંગળવારે ધર્મ-આધારિત વસ્તીગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ દેશની વસ્તીમાં વર્ષ ૨૦૦૧ની તુલનાએ મુસ્લિમોની વસ્તી ૦.૮ ટકા વધી છે. જ્યારે હિન્દુઓ ૦.૭ ટકા ઘટ્યા છે. કુલ ૧૨૧.૦૯ કરોડની વસ્તીમાં હિન્દુ ૯૬.૬૫ કરોડ છે.જ્યારે મુસ્લિમો ૧૭.૨૨ કરોડ છે. સરકારે સામાજિક-આર્થિક વસ્તી ગણતરીના આંકડા ત્રણ જુલાઇએ પ્રસિદ્ધ કર્યા ત્યારથી જ કેટલાક રાજકીય પક્ષોએ જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવાની માગ કરતા હતા. પરંતુ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરે તેના બદલે ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ હિન્દુ જ નહીં, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોની વસ્તી પણ ઘટી છે. કુલ વસતીમાં શીખ ૦૨ ટકા અને બૌદ્ધ ૦.૧ ટકા ઘટ્યા છે. ખ્રિસ્તી અને જૈનોની વસ્તીમાં ખાસ અંતર નથી જોવા મળ્યું.
ભારતની વસ્તી વધવાની ઝડપ ૨૦૦૧-૨૦૧૧ વચ્ચે ૧૭.૭ ટકા હતી. તેની તુલનામાં મુસ્લિમોની વસ્તી ૨૪.૬ ટકાની ઝડપે વધી છે. અન્ય ધર્મોની વસ્તી વધવાની ઝડપ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી રહી છે. હિન્દુઓની ૧૬.૮ ટકા, ખ્રિસ્તીઓની ૧૫.૫ ટકા, શીખોની ૮.૪ ટકા, બૌદ્ધોની ૬.૧ અને જૈનોની વસ્તી ૫.૪ ટકાની ઝડપે વધી છે.