નવી દિલ્હી: ભારતમાં આગામી ૨૪મી મે સુધીમાં કોરોનાનો કેર ૯૭ ટકા સુધી ઓછો થઈ જશે અને ૪થી જૂન સુધીમાં તો દેશ ૯૯ ટકા કોરોનામુક્ત થઈ જશે. દેશમાં ૩૧મી જુલાઈ સુધીમાં કોરોનાનું નામોનિશાન નહીં રહે. આ તારણ છે નિષ્ણાતોનું. સિંગાપોરની ટેકનોલોજી એન્ડ ડિઝાઈન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ગાણિતિક મોડેલ રજૂ કરીને આ દાવો કર્યો હતો.
સિંગાપોર ટેકનોલોજી એન્ડ ડિઝાઈન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાં કોરોનાના ફેલાવા અંગેના તમામ ડેટાનું એનાલિસિસ કર્યું હતું. ડેટાના વિશ્લેષણ પછી વૈજ્ઞાનિકોએ ગાણિતિક મોડેલ રજૂ કર્યું હતું. એ પ્રમાણે ભારતમાં ૨૪મી મે સુધીમાં ૯૭ ટકા કોરોના નાબુદ થઈ જશે. ચોથી જૂન સુધીમાં ૯૯ ટકા કોરોના કાબુમાં આવી જશે અને ૩૧મી જુલાઈ સુધીમાં દેશ કોરોનામુક્ત થઈ જશે.
ભારતમાં કોરોનાની ઝડપ કેવી?
ભારતમાં ગત ૧૭મી માર્ચે કોરોનાનો રોજિંદો વૃદ્ધિ દર ૧૬.૧ ટકા હતો. લોકડાઉનના એક દિવસ પહેલાં ૨૩મી માર્ચે આ રોજિંદો વૃદ્ધિ દર વધીને ૨૪.૮ ટકા થયો હતો. જોકે, લોકડાઉન પછી કોરોનાના કેસમાં વધારો થવા છતાં ધીમે ધીમે વૃદ્ધિ દર કાબુમાં આવ્યો હતો, પરંતુ એપ્રિલમાં ફરી રોજિંદો ગ્રોથ રેટ વધ્યો હતો. નિઝામુદ્દીન મરકઝનો બનાવ બન્યો તે પછી અચાનક કેસની સંખ્યા વધવા માંડી હતી. એપ્રિલના છેલ્લાં સપ્તાહમાં ગ્રોથ રેટ ઘટીને ૭.૮ ટકા થયો હતો. હવે આ ગ્રોથ રેટ જો જળવાશે તો મેના છેલ્લાં સપ્તાહ સુધીમાં કોરોના કાબુમાં આવી જશે એવી શક્યતા વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે.