નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા પ્રમાણે ૨૪ જ કલાકમાં દેશમાં કોરોનાના ૩૮,૭૭૨ નવા કેસ સામે આવ્યા છે. તેના પગલે દેશમાં કોરોનાના સંક્રમિતોના કુલ આંકડો ૯૪,૩૧,૬૯૧ પહોંચી ગયો છે. બીજી તરફ એક જ દિવસમાં કોરોનાએ ૪૪૩ લોકોનો ભોગ લીધો હતો. તેના કારણે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા ૧,૩૭,૧૩૯ થઈ ગઈ છે.
બીજી તરફ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫,૩૩૩ લોકો સાજા થયા છે અને તેના પગલે હવે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોનો કુલ આંકડો ૮૮,૪૭,૬૦૦ પહોંચી ગયો છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૪.૪૬ લાખ છે. દેશમાં રિકવરી રેટ ૯૩.૮ ટકા પહોંચી ગયો છે જ્યારે એક્ટિવ દર્દીઓની સરેરાશ ૪.૭૩ ટકા છે. દિલ્હી સરકારે હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટિંગના દર ૮૦૦ રૂપિયા સુધી સીમિત રાખવાનો નિર્ણય કર્યો છે.
જુલાઈ સુધીમાં રસી આવી જશે: હર્ષવર્ધન
સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, આગામી વર્ષે જુલાઈ-ઓગસ્ટ સુધીમાં દેશના ૨૫થી ૩૦ કરોડ લોકો સુધી રસી પહોંચાડી દેવાશે. સરકાર આ દિશામાં પૂરતી તૈયારી કરી રહી છે. તેનો અર્થ એવો નથી કે આપણે સંક્રમણને હળવાશથી લેવું જોઈએ. તેમણે લોકોને પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતી.
રાજસ્થાનમાં ૧૩ જિલ્લામાં રાત્રી કરફ્યૂ
રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાને કાબૂ કરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ૧૩ જિલ્લાઓમાં ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી નાઇટ કરફ્યૂ લાગુ કરાયો છે. સરકારના જણાવ્યા પ્રમાણે જયપુર, કોટા, જોધપુર, બિકાનેર, ઉદેપુર, અજમેર, ભિલવાડા, નાગૌર, પાલી, ટોંક, સીકર અને ગંગાનગર જિલ્લામાં રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ જારી કરવામાં આવ્યો છે. જે દુકાનો અથવા કચેરીઓને પરવાનગી હશે તે સિવાયના તમામ સ્થળો સાંજે સાત વાગ્યે બંધ કરી દેવાના આદેશ જારી કરાયા છે. તે સિવાય કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૧ ડિસેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ ઉપરાંત સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટર પણ ૩૧ ડિસેમ્બર સુધી બંધ રહેશે.