જિનિવાઃ હાલમાં ભારત સહિત દક્ષિણ એશિયામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક નથી, પરંતુ આ દેશોમાં ‘કોરોના વિસ્ફોટ’ની ચેતવણી WHOએ આપી છે. ભારતમાં લોકડાઉન ખૂલતાં જ કોરોનાના કેસ ત્રણ સપ્તાહમાં બમણા થઈ ગયા હોવાથી ભારતની સ્થિતિ પણ ચિંતાજનક જણાવાઈ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ અંગે જણાવ્યું કે, ભારત અને ચીનમાં કોરોનાના ટેસ્ટ વધે તો બંને દેશોમાં અમેરિકા કરતાં પણ વધુ નોંધાય. ઉલ્લેખનીય છે કે ૯મી જૂનના અહેવાલો પ્રમાણે ભારતમાં ૨૭૩૮૬૦ કોરોના પોઝિટિવ છે. આ રોગથી મૃતકાંક ૭૬૯૬ અને સાજા થયેલાની સંખ્યા ૧૩૩૭૬૪ નોંધાઈ છે. ભારતમાં રાજનેતા જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં દાખલ છે જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાના લીધે મેઘાલયે જાહેર કર્યું છે કે રાજ્યમાં ૧૪ જૂનથી ધાર્મિક સ્થળ નહીં ખૂલે, મહિનાના અંત ભાગમાં વિચારણા કરાશે.