મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ રૂ. 2000ની ચલણી નોટ રોજબરોજના આર્થિક વ્યવહારમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આરબીઆઇએ બેન્કોને હવે પછી રૂ. 2000ની ચલણી નોટ ઇસ્યુ નહીં કરવાનો આદેશ આપ્યો છે. જોકે રિઝર્વ બેન્કે એવી સ્પષ્ટતા પણ કરી છે કે ભારતીય ચલણ તરીકેની તેની માન્યતા યથાવત્ રહેશે. જાહેર જનતા તેમના બેન્ક એકાઉન્ટમાં રૂ. 2000ની ચલણી નોટ ડિપોઝિટ પણ કરાવી શકશે. તેમ જ તેના બદલે બીજા મૂલ્યની ચલણી નોટ મેળવી શકશે. બેન્કમાં તેને બીજી કોઇ સામાન્ય ચલણી નોટની જેમ જ એટલે કે કોઇ પણ જાતના નિયંત્રણ વગર જમા કરાવી શકાશે કે વટાવી શકાશે.