દહેરાદૂન, કેરળઃ દેશનાં ૬ રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૪ દિવસમાં ૨૦૦ લોકોનાં મોત થયાં છે. તેમાં કેરળમાં ૭૬, કર્ણાટક-મહારાષ્ટ્રમાં ૪૨-૪૨, ગુજરાતમાં ૩૧, ઉત્તરાખંડમાં ૬ અને જમ્મુ-કાશ્મીરમાં ૩ મોત સામેલ છે.
કેરળના ૮ જિલ્લામાં અંદાજે ૨.૮૮ લાખ લોકોને ૧૬૫૪ રાહત છાવણીમાં પહોંચાડાયા છે જ્યારે ૫૮ લોકો લાપતા છે. આ જિલ્લાઓમાં મંગળવારે પણ સ્કૂલો બંધ રહી હતી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે પણ વાયનાડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. કર્ણાટકના ૧૭ જિલ્લાના ૨૭૦૦ ગામ પૂરગ્રસ્ત છે. કર્ણાટકમાં ૫.૮૨ લાખ અને મહારાષ્ટ્રમાં ૪.૪૮ લાખ લોકોને રાહત છાવણીઓમાં ખસેડાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૭૨ કેમ્પ કોલ્હાપુર, સાંગલી જિલ્લાઓમાં છે. મહારાષ્ટ્રમાં ૪.૨૪ લાખ લોકોને રાહત છાવણીમાં આશરો અપાયો છે.
કર્ણાટકમાં ૪૫ વર્ષનું ભીષણ પૂર
કર્ણાટકમાં છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ભીષણ પૂર આવ્યું છે. અહીં ૧૭ જિલ્લામાં સ્થિતિ ખરાબ છે. આશરે ૧.૬૧ લાખ લોકો બેઘર થયા છે. તેમને ૬૬૪ શિબિરોમાં આશ્રય અપાયો છે.