ભુવનેશ્વરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ, ભુવનેશ્વરના આઇસીયુ વોર્ડમાં આગ લાગવાથી લગભગ ૩૦ દર્દીઓનાં મોત થયાં છે. મોટાભાગના દર્દીનાં મોત શ્વાસ રુંધાવાને કારણે થયાં હતાં. લગભગ ૨૦ અન્ય લોકો દાઝી ગયા છે. અકસ્માત વખતે હોસ્પિટલમાં ૫૦૦ દર્દીઓ દાખલ હતા. ફાયરબ્રિગેડની સાતથી વધુ ગાડીઓ આગ ઓલવવામાં લાગી હતી. બ્રોન્ટો સ્કાયલિફ્ટ મારફત ફાયરકર્મીઓ છત પર જઈને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન આગ લાગતાં જ સ્ટાફ અને વોલિયન્ટરોએ દર્દીઓને બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું. બારીના કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સંખ્યાબંધ એમ્બ્યુલન્સ મારફત દર્દીઓને બીજી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રારંભિક જાણકારી અનુસાર સૌ પહેલા ફર્સ્ટ ફ્લોર પર હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડમાં આગ લાગી હતી. જોતજોતામાં તે બાકીના વોર્ડ અને આઇસીયુમાં પ્રસરી ગઈ હતી.
ઘટના સ્થળે હાજર જ્યોતિ પ્રકાશે કહ્યું હતું કે, પહેલા માળે તેના પિતા દાખલ હતા. આગ લાગતાં જ તે પહેલા માળેથી કૂદી ગયો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યોતિએ કહ્યું હતું કે, તેને ખબર નથી કે તેના બીમાર પિતાનું શું થયું?