મથુરા: ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી મસ્જિદ હટાવવાની માગ કરતી અરજી મથુરાની અદાલતે ૧૬મી ઓક્ટોબરે દાખલ કરી છે. ગયા મહિને મથુરાની સિવિલ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ પર મસ્જિદનું નિર્માણ કરાયું હોવાથી તેને દૂર કરવા માટે રજૂ કરાયેલા દાવાને નકારી કઢાયો હતો. ૧૬મી ઓક્ટોબરે જિલ્લા જજ સાધના રાની ઠાકુરની અદાલતે અરજીનો સ્વીકાર કરી તેની સુનાવણી ૧૮ નવેમ્બર પર રાખી છે. એક જૂથે આ અરજીમાં દાવો કર્યો છે કે, ૧૭મી સદીમાં નિર્માણ કરાયેલી ઇદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થાન ગણાતા કટરા કેશવ દેવ મંદિરની ૧૩ એકરની જગ્યામાં બંધાયેલી છે. અગાઉ સિનિયર સિવિલ જજ છાયા શર્માની કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં શ્રીકૃષ્ણ જન્મ સેવા સંસ્થાન અને શાહી ઇદગાહ મેનેજમેન્ટ કમિટી વચ્ચે થયેલા જમીન અંગેના કરાર પરના ૧૯૬૮ના મથુરાની અદાલતના ચુકાદાને રદ કરવાની માગ કરાઇ હતી. સપ્ટેમ્બર મહિનામાં શ્રીકૃષ્ણ વિરાજમાન વતી સિવિલ કોર્ટમાં પોતાને શ્રીકૃષ્ણ વિરાજમાનના નેક્સ્ટ ફ્રેન્ડ હોવાનો દાવો કરતાં રંજના અગ્નિહોત્રી અને અન્ય ૭ દ્વારા મથુરાની સિવિલ કોર્ટમાં અરજી કરાઇ હતી.
મથુરામાં મસ્જિદ હટાવવાની માગનો પૂજારીઓ દ્વારા વિરોધ
પૂજારીઓના સંગઠન અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાના પ્રમુખ મહેશ પાઠકે જણાવ્યું હતું કે, બહારના વ્યક્તિ મંદિર-મસ્જિદનો મુદ્દો ઊભો કરીને મથુરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.