મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને રૂ. ૧૦૦ કરોડની વસૂલી મોંઘી પડી છે. પૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપોને પગલે અંતે તેમણે સોમવારે ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપવુ પડયું છે. મહારાષ્ટ્રમાં શરૂ થયેલી આ બધી રાજકીય હલચલના પગલે લોકોમાં એવો સવાલ પૂછાઇ રહ્યો છે કે શું ભાજપનું ‘ઓપરેશન કમળ’ શરૂ થઇ ગયું છે?
બીજી તરફ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને બોમ્બે હાઈ કોર્ટે પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસને અસામાન્ય અને અભૂતપૂર્વ ગણાવીને કોર્ટે સીબીઆઈને ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાનું અને ત્યાર પછી સીબીઆઈના ડિરેક્ટર આગળના પગલાં લેવા મુક્ત છે એમ કોર્ટે જણાવ્યું છે.
હાઇ કોર્ટના આ ચુકાદાને દેશમુખ અને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, પરંતુ સીબીઆઇએ મંગળવારે મુંબઇ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
પરમબીર સિંહે પોતાને મુંબઈ પોલીસ કમિશનર પદેથી દૂર કરીને હોમ ગાર્ડ્સમાં પોસ્ટિંગ આપ્યાના ત્રણ દિવસ બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આઠ પાનાંનો પત્ર લખીને દેશમુખ સામે આરોપ કર્યો હતો કે તેમણે કઈ રીતે સસ્પેન્ડેડ આસિસ્ટંટ ઈન્સ્પેક્ટ સચિન વાઝેને મુંબઈના બાર અને રેસ્ટોરાં પાસેથી મહિને રૂ. ૧૦૦ કરોડની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. કથિત ગેરરીતિઓ બદલ અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસ કરવા ઈચ્છતી પરમબીર સિંહની ફોજદારી જનહિત અરજી અને આ પ્રકરણે સ્વાયત્ત તપાસ ઈચ્છતી અન્ય બે જનહિત અરજી પર હાઈ કોર્ટે અંતે તપાસનો આદેશ આપ્યો હતો.
‘ઓપરેશન કમળ’ શરૂ?
દેશમુખના રાજીનામા બાદ ભાજપના કેન્દ્રીય નેતાઓએ પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પત્રકારપરિષદ સંબોધીને ઠાકરે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રસાદે માગ કરી હતી કે આ આરોપો વિશેષ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જે કોઈ લોકો સામેલ છે, તેમની સામે કાયદેસર રીતે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ દેશમુખ પોતાના માટે પૈસા ઉઘરાવી રહ્યા હતા, પોતાની પાર્ટી માટે કે સમગ્ર સરકાર માટે તે બહાર આવવું જોઈએ.
પ્રસાદે કહ્યું, ‘અમે સવાલ ઉઠાવ્યો હતો કે જો આ ટાર્ગેટ મુંબઈ માટે હતો, તો સમગ્ર રાજ્યનો ટાર્ગેટ કેટલો હતો? આ ટાર્ગેટ જો માત્ર એક પ્રધાનનો હતો, તો બાકીના પ્રધાનોને કેટલો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો?’
‘અમે બહુ શરૂઆતથી જ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા હતા, જે મુંબઈ પોલીસ દ્વારા શક્ય ન હતી.’
રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપર નિશાન સાધતા પ્રસાદે કહ્યું, ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મૌન છે. શરદ પવારજી કહે છે કે પ્રધાનો અંગે મુખ્ય પ્રધાન નિર્ણય લે છે. કોંગ્રેસ તથા શિવસેનાનું કહેવું છે કે દેશમુખ (રાજીનામાં વિશે) એનસીપી નિર્ણય લેશે.’
‘આજે તો કમાલ જ થઈ ગઈ, શરદ પવારની મંજૂરી લીધા બાદ ઉદ્ધવ ઠાકરેને રાજીનામું સોંપવામાં આવ્યું છે. આ દેશને શું જણાવવામાં આવી રહ્યું છે?’
‘અમે પણ જાણીએ છીએ કે તેમણે (દેશમુખે) શરદ પવારના જ ઇશારે રાજીનામું આપ્યું કે ન આપ્યું હોત, પણ ઉદ્ધવ ઠાકરે ક્યારે બોલશે? તેમના મૌનથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.’
દેશમુખના રાજીનામા બાદ ફરી એક વખત એવી અટકળો ચાલુ થઈ હતી કે શું મહારાષ્ટ્રમાં 'ઑપરેશન કમળ’ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઠાકરે સરકારનું પતન થશે અને ફરી ભાજપની સરકાર બનશે.
ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લએ જણાવ્યું હતું: ‘દેશમુખની ઉપર ભ્રષ્ટાચારના આરોપ હતા. તેમનું રાજીનામું માગવું અમારો અધિકાર છે અને અમે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ત્રણ પૈડાંવાળી (શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની યુતિ સરકારના સંદર્ભમાં) સરકાર છે.’
‘જે પોતાના પાપોના બોજથી પડશે. આ માટે 'ઓપરેશન કમળ' હાથ ધરવાની કોઈ જરૂર નથી. આ બાબત દેવેન્દ્ર ફડણવીસ તથા રવિશંકર પ્રસાદ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.’