ઔરંગાબાદ: અજંતા-ઇલોરા જેવી વૈશ્વિક ધરોહરવાળા ઔરંગબાદમાં દેશનું બીજું સૌથી મોટું રામકૃષ્ણ ધ્યાન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ૧૭ નવેમ્બરે તેનું લોકાર્પણ થશે. ૧૮ હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલું આ મંદિર નવ વર્ષમાં અંદાજે રૂ. ૨૮ કરોડના ખર્ચે તૈયાર થયું છે. અહીં ચાર વાસ્તુકળાનો સંગમ છે. તેમાં રોમન, ગોથિક, રાજપૂત અને ઇસ્લામિક વાસ્તુકળાની વિશેષતાઓ જોઈ શકાશે. મંદિર સંપૂર્ણ અર્થક્વેક-પ્રૂફ છે. તેની ઊંચાઈ ૧૦૦ ફૂટ છે જ્યારે ગર્ભગૃહ ૪૦ ફૂટ ખોદકામ કરીને બનાવાયું છે. મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં દેશ-વિદેશના ૫,૦૦૦ લોકો ઉપસ્થિત રહેશે. રામકૃષ્ણ મિશનના ૩૫૦ સાધુ-સંતો દેશ-વિદેશથી અહીં પહોંચશે. નોંધનીય છે કે દેશનું સૌથી મોટું ધ્યાન મંદિર (રામકૃષ્ણ મઠ) પશ્ચિમ બંગાળના બેલુરમાં સ્થિત છે.