પૂણેઃ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની એક નવી પ્રજાતિનું નામ એનસીપીના વડા શરદ પવારના નામ પરથી ‘અર્જેરિયા શરદચંદ્રજી’ રખાયું છે. તેમના સાંસદ પુત્રી સુપ્રિયા સૂળેએ છોડની તસવીર શેર કરી છે. સંશોધકોના જણાવ્યા મુજબ, પૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન તરીકે પવારના યોગદાનને ધ્યાનમાં રાખીને ફૂલની પ્રજાતિનું નામ તેમના નામ પરથી રખાયું છે. તેના છોડ પર જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ફૂલ આવે છે અને ફળ ડિસેમ્બર સુધી રહે છે.
સંશોધકો ડો. પ્રમોદ લાવંડ અને ડો. વિનોદ શિમ્પલેએ જણાવ્યું કે કોલ્હાપુર જિલ્લો તેની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે મશહૂર છે. બંને સંશોધકો કોલ્હાપુરની એક કોલેજમાં વનસ્પતિશાસ્ત્ર ભણાવે છે. તેમનું રિસર્ચ પેપર ‘અર્જેરિયા શરદચંદ્રજી’ તાજેતરમાં જર્નલ ઓફ ઇન્ડિયન એસોસિયેશન ફોર એન્જિયોસ્પર્મ ટેક્સોનોમીમાં પ્રકાશિત થયું છે.