મુંબઇઃ વર્ષ ૧૯૬૬માં પબ્લિક ઇસ્યુ થકી માત્ર રૂપિયા એક કરોડ ઉભા કરનાર બજાજ ઓટો આજે દેશની સૌથી મોટી વાહન નિકાસ કરતી કંપની છે. વર્ષ ૧૯૬૫થી ૨૦૦૫ સુધી ચાર દાયકા સુધી બજાજ ગ્રૂપની કંપનીઓનું સુકાન સંભાળનાર રાહુલ બજાજ જૂથની વિવિધ કંપનીઓનું બજાર મૂલ્ય (માર્કેટ કેપિટલાઈઝેશન) ગયા શુકવારે બજાર બંધ રહી ત્યારે રૂ. ૮.૫૯ લાખ કરોડ રહ્યું હતું.
આ યાત્રા બજાજ ઓટોના વર્ષ ૧૯૬૫ના પબ્લિક ઇસ્યુમાં માત્ર રૂપિયા એક કરોડથી શરૂ થઇ હતી! રાહુલ બજાજનો કાર્યકાળ શરૂ થયો ત્યારે ૧૯૬૫માં રૂ. ૭.૨૦ કરોડની આવક રળતી બજાજ ઓટો આજે રૂ. ૨૭,૭૪૧ કરોડનું વેચાણ ધરાવે છે. કંપની અત્યારે વિશ્વના ૭૦ જેટલા દેશોમાં વાહનોની નિકાસ કરે છે. બજાજ જૂથની આ સૌથી જૂની કંપની માત્ર કંપનીના વેચાણ વૃદ્ધિ માટે નહીં, પણ શેરહોલ્ડર કે રોકાણકારોની સંપત્તિમાં વૃદ્ધિ માટે પણ જાણીતી છે.
બજાજ ઓટોનું માર્કેટ કેપ અત્યારે રૂ. ૧.૦૩ લાખ કરોડ છે. વર્ષ ૨૦૦૭માં કંપનીમાંથી પોતે નિવૃત્ત થયા એ પછી બજાજ જૂથની કંપનીઓનું વિભાજન થયું હતું અને બજાજ ઓટો, બજાજ હોલ્ડીંગ, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વનું અલગથી લીસ્ટીંગ થયું હતું. આ વિભાજન પછી સંપત્તિ સર્જનની યાત્રા વધારે ઝડપી બની છે.
રોકાણકારોની સંપત્તિમાં મૂલ્યવૃદ્ધિ
બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપ રૂ. ૪.૨૨ લાખ કરોડ છે અને બજાજ ફિનસર્વનું રૂ. ૨.૫૬ લાખ કરોડનું છે. બન્ને કંપનીઓ દેશના શેરબજારના બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સનો હિસ્સો છે. એમની સ્થાપેલી કંપનીઓ પોતપોતાના ક્ષેત્રમાં અગ્રીમ હરોળમાં આવે છે. ‘ફોર્ચ્યુન’ લિસ્ટ અનુસાર બજાજ ફેમીલી રૂ. ૧૪.૪ અબજની સંપત્તિ સાથે દેશના સૌથી ધનવાન વ્યક્તિઓમાં ૧૩માં સ્થાન ઉપર આવે છે.
વર્ષ ૨૦૦૭માં ડીમર્જર પછી બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને બજાજ હોલ્ડીંગ એમ ચારેય કંપનીના કોઈ વ્યક્તિએ ૧૦૦ શેર ખરીદયા હોય તો રૂ. ૨,૧૯,૬૩૦ કરોડનું રોકાણ કરવું પડયું હોત પણ તેની સામે શેરના વર્તમાન ભાવ, બોનસ અને ડિવીડન્ડ સહિતનું મૂલ્ય રૂ. ૧.૯૦ કરોડ જેટલું થવા જાય છે. આ દર્શાવે છે કે રોકાણ સામે મુલ્યમાં વૃદ્ધિ ૪૯ ટકા ગણી છે!