લંડન, નવીદિલ્હીઃ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ સરકારી બેન્કોનું પૂરેપૂરું દેવું ચૂકવી દેવાની તૈયારી દર્શાવી છે. માલ્યાએ ટ્વિટ કરીને નિર્મલા સીતારામનના લોકસભાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. માલ્યાએ જણાવ્યું હતું કે આ નિવેદનની ભાવનાને અનુરૂપ ૧૦૦ ટકા સમાધાનની મારી ઓફરને પણ પણ સ્વીકારવામાં આવે.
નિર્મલા સીતારામનના નિવેદનને ટાંકતા માલ્યાએ કહ્યું હતું કે આ દેશમાં (ભારતમાં) કારોબારની નિષ્ફળતાને અભિશાપ ન માનવો જોઈએ તેનાથી ઊલટું આપણે આઈબીસી કાયદાની મૂળ ભાવનાને અનુરૂપ દેવાંની સમસ્યાનો ઉકેલ લાવવા સન્માનજનક માર્ગ અથવા સમાધાન શોધી કાઢવું જોઈએ.
આ પહેલાં માલ્યાએ સીસીડીના માલિક વીજી સિદ્ધાતનાં મોત બદલ બેન્કો અને સરકારી એજન્સીઓને નિશાન બનાવી તેમને ક્રૂર અને નિર્દયી ગણાવી હતી. માલ્યાએ કહ્યું હતું કે સરકારી એજન્સીઓ, બેન્કોનું વલણ હતાશાજનક છે. બધું દેવું ચૂકવવાની ઓફર છતાં મારી સાથે શું થઈ રહ્યું છે. આ અનૈતિક નિર્દયી છે.