આઇઝોલઃ પૂર્વોત્તરના રાજય મિઝોરમમાં ૨૨મીએ ૧૨ કલાકમાં ૫.૩ અને ૫.૧ તીવ્રતાના ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપથી ઘણા મકોનોમાં તિરાડ પડી ગઈ હતી અને એક ચર્ચની છત પણ તૂટી ગઈ હતી. ભૂકંપથી રસ્તામાં પણ તિરાડ પડી હોવાનું નોંધાયું છે. મિઝોરમના મુખ્ય પ્રધાન જોરમથાંગાએ ધરતીકંપ અંગેની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, ધરતીકંપ આવ્યા બાદ સ્થાનિક સ્તરે રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. સ્થાનિક પ્રશાસન અને ક્ષેત્રીય વિધાનસભ્ય વિસ્તારની મુલાકાત લઈને નુકસાનનો સર્વે કરવાનું કામ કરી રહ્યા છે. સરકારના મતે આ ભૂકંપથી જાનહાનિના કોઈ હેવાલ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે સોમવારે વહેલી સવારે ૪.૧૦ કલાકે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ભારત મ્યાનમાર સરહદે ૨૭ કિમી દૂર ચમ્ફાઈમાં હતું.
કાંદાની આડમાં રૂ. ૫ કરોડની લાલ ચંદનની દાણચોરી
કોરોના અને લોકડાઉનનો લાભ લઈ તાજા ભારતીય કાંદાને નામે લાલ ચંદનની દાણચોરી કરનારા બે જણની ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) - મુંબઇએ ધરપકડ કરી છે. ન્હાવા શેવા બંદર પરથી રૂ. ૫ કરોડનું ૧૩ મેટ્રિક ટન લાલ ચંદન ડીઆરઆઇને મળી આવ્યું હતું. આ બંને જણાની અન્ય કેસમાં સંડોવણીની પણ તપાસ ચાલે છે.