મુંબઈઃ અંધેરી પૂર્વના એમઆઈડીસીમાં આવેલી લેબર મિનિસ્ટરી હેઠળના એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની હોસ્પિટલ (ઈએસઆઈસી હોસ્પિટલ)માં મંગળવારે બપોરે ૪ વાગ્યે ચોથા માળે આવેલાં ઓપરેશન થિયેટર પાસે આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક જાણકારી મળ્યા મુજબ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું હતું. આ આગમાં આઠ વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે મકાનમાં ફસાયેલાં ૪૭ જણને ફાયરબ્રિગેડના જવાનોએ સ્થાનિકોની મદદ સાથે બચાવી લીધાં હતાં. સેવન હિલ્સમાં ૩, કૂપરમાં બે અને હોસ્પિટલમાં ૧નું મોત થયું હતું. શ્વાસમાં ધુમાડો જવાથી હાલ હોસ્પિટલમાં દાખલ કરાયેલાં લોકોમાંથી પણ કેટલાકની તબિયત નાજુક હોવાથી મૃતકોનો આંક વધી શકે એવી શંકા સેવાઈ રહી હતી. અઢી કલાકની ભારે જહેમત બાદ સાંજે ૬.૩૦ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જોકે એમ છતાં કૂલિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.