મુંબઈ: ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની ૧૦૦ વર્ષ જૂની બિલ્ડિંગનો અડધો હિસ્સો મંગળવારે સવારે ૧૧.૪૫ વાગે ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનામાં ૧૨ લોકોનાં મોત થયાનું અને કાટમાળમાં લગભગ ૪૦ લોકો ફસાયા હોવાની સત્તાવાર રીતે જણાવાયું હતું. આ બિલ્ડિંગમાં લગભગ ૧૫ પરિવાર રહેતા હતા. ઘટનાની જાણ થતાં તુરંત જ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમે રાહત કાર્ય શરૂ કર્યું હતું.
મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટિલે જણાવ્યું હતું કે, એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાથી રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી હતી. જેસીબી જેવા મશીન પણ આ ગલીમાં જઈ શકતા નથી. તેથી લોકોએ માનવસાંકળ બનાવીને રાહત કામગીરી શરૂ કરી હતી.