મુંબઈ: મુંબઈમાં ફરી એકવાર સોમવારે ભારે વરસાદ પડ્યો. તેના લીધે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. જોત-જોતામાં માર્ગો પર ઊભેલી ગાડીઓની અંદર પાણી ભરાઈ ગયાં. ભારે વરસાદથી રેલવે, બસ અને વિમાન સેવાઓ પર ખોરવાઈ. વરસાદને લીધે સવારના ૯.૩૦ વાગ્યાથી લગભગ અડધા સુધી અંધકાર છવાઈ રહેતા મુંબઈ એરપોર્ટ પર ઉડાનો બંધ રહી. તેનાથી ત્રણ વિમાનોને ડાઇવર્ટ કરાયા હતા. મુંબઈમાં ૨૨૭૨ મિમી સરેરાશ વરસાદનું ૧૦૪૩ મિમી એટલે કે ૪૬ ટકા વરસાદ પડી ચૂક્યો છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાતમાં પણ સોમવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પટણાની મેડિકલ કોલેજમાં પાણી ભરાઈ ગયું હતું.
બંગાળના અખાતમાં ૨૫ માછીમારો ગુમ
બંગાળના અખાતમાં ખરાબ હવામાનને કારણે સમુદ્રમાં ફસાયેલા છ માછીમારોને સોમવારે બચાવી લેવાયા જોકે ૨૫ ગુમ છે. ૩૧ માછીમારો કાકટાપુ પાસે ૪ દિવસ પહેલા સમુદ્રમાં માછલી પકડવા ગયા હતા.
ચિપલૂણમાં ડેમ તૂટતાં ૧૧નાં મોત
મહારાષ્ટ્રમાં મેઘરાજાએ માઝા મૂકી છે. રત્નાગીરી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ચિપલૂણ તાલુકાના તિવરે ડેમમાં તાજેતરમાં ભંગાણ પડયું હતું. આ ઘટનામાં પાણલોટ ક્ષેત્રના સાત ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પાણલોટના ૨૪થી વધુ ગામવાસીઓ લાપતા થયા હતા તેમાંથી ૧૧ જણાના મૃતદેહ મળ્યા હોવાની માહિતી સ્થાનિક પ્રશાસને આપી હતી.
મુશળધાર વરસાદને કારણે બીજીએ રાત્રે સાડા વાગ્યે તિવરે ડેમ ઓવરફ્લો થવા માંડયો. એક કલાકમાં જ ડેમની દીવાલમાં ભંગાણ પડયું હતું. ગામમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો.
ઓવળી, રિક્ટોલી, આકલે, દાદર, નાંદિવસે, કળકવણે સહિત સાત ગામોમાં પાણી ઘૂસી ગયાં હતાં.


