નવી દિલ્હીઃ સરકારે આઇએસબી, હૈદરાબાદના પ્રોફેસર કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યનની ત્રણ વર્ષ માટે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરી છે. ચાલુ વર્ષે જુલાઇમાં અરવિંદ સુબ્રમણ્યને મુખ્ય આર્થિક સલાહકાર પદેથી રાજીનામું આપ્યું ત્યારથી આ પદ ખાલી હતું. અરવિંદ સુબ્રમણ્યન ચાર વર્ષ સુધી આ પદ પર રહ્યાં હતાં. સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ(એસીસી)એ આઇએસબી, હૈદરાબાદના એસોસિએટ પ્રોફેસર ડો. કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યનની મુખ્ય આર્થિક સલાહકાર પદે નિમણૂક કરી છે. મુખ્ય આર્થિક સલાહકારનું મુખ્ય કાર્ય સરકારને ઔદ્યોગિક વિકાસ, વિદેશ વેપાર અંગે નીતિ ઘડવામાં સલાહ આપવાનું અને ઔદ્યોગિક ઉત્પાદન અંગે પૃથક્કરણ કરવા અને મહત્ત્વપૂર્ણ આર્થિક માપદંડો અંગે આંકડાકીય માહિતી આપવાનો હોય છે.